- થરાદની કેનાલમાં 5 લોકોની આપઘાતનો મામલો
- નર્મદા કેનાલમાં 5 લોકોનો આપઘાત
- આપઘાત કરનાર તમામ લોકોના મૃતદેહ મળ્યા
- કેનાલ પાસે બે મોબાઈલ ફોન અને બસની ટીકીટ મળી
- આપઘાત કરનારાઓની હજુ સુધી કોઇ ઓળખ નહીં
કોરોના કાળ પછી સમાજમાં આત્મહત્યાનું પ્રમાણ અનેક ગણું વધી ગયું છે. અને મોટાભાગે આર્થિક તંગી તેની પાછળ જવાબદાર હોય છે. ગતરોજ બનાસકાંઠાના થરાદ ખાતે એક કેનાલમાં પાંચ લોકોએ ઝંપલાવ્યું હતું. સ્થાનિક દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. અને તરવૈયા દ્વારા શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ પાંચેય વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે.
થરાદના સણધર સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલમથી એક મહિલા એક પુરુષ અને ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા છે. તો ભારે શોધખોળ બાદ આ પાંચેય મૃતદેહ હાથ લાગ્યા હતા. ફાયરટીમના તરવૈયાએ જણાવ્યું હતું કે, ફાયર કન્ટ્રોલ રૂમમાં ફોન ઉપર જાણ કરવામાં આવી હતી કે સણધર ગામના પુલ નજીક મુખ્ય નર્મદા નહેરમાં બાળકો સાથે કોઈ દંપતી પરિવારે સામુહિક આપઘાત કર્યો છે. તેવી જાણ કરતાં ફાયરટીમ સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
સામૂહિક આપઘાત કરનાર તમામ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કેનાલ પાસે બે મોબાઈલ ફોન અને બસની ટીકીટ પણ મળી આવી હતી. આપઘાત કરનારાઓની હજુ સુધી કોઇ ઓળખ મળી નથી. જો કે લોકોના મુખે જુદીજુદી વાતો સાંભળવા મળી રહી છે. લોકોના જણાવ્યા અનુસાર મહિલા દેથળી ગામની હોવાનું જાણવા મળી રહ્યું છે.
મોબાઈલ ઉપરથી મળેલી હકીકત અનુસાર વાવ તાલુકાના દેથળી ગામનો પરિવાર મજૂરી કામ અર્થ ગાંધીનગર બાજુ રહેતો હતો. જેમાં ગત રોજ વાવ તાલુકાના ધરાધરા ગામના યુવક સાથે દેથળી ગામની પરિણીતા મુક્તાબેન ઠાકોર ત્રણ બાળકો સાથે ગઈ કાલે નીકળેલ જેમાં ગત મોડી સાંજે ભાભર થી થરાદની બસમાં સણધરની ટીકીટ લઈને બસમાં બેઠા હતા. તેમાં સણધર ગામના પાટીયા નજીક ઉતરી જઈને નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રણ બાળકોને કેનાલમાં ફેંકી દઈને યુવક સાથે પરણિતા એ સામુહિક આપઘાત કર્યો હોવાની આશંકા વિકટ કરવામાં આવી રહી છે.
કેનાલ ઉપર થી મોબાઈલ ચંપલ બસ ટીકીટ મળી આવતા તેના આધારે તરવૈયાની મદદથી શોધખોળ હાથ ધરતાં જેમાં ત્રણ બાળકો સુમિત (ઉંમરવાળા આશરે બે વર્ષ) તેમજ વિશાલ (ઉંમર આશરે પાંચ વર્ષ) તેમજ દીકરી કિંજલ (ઉંમર આશરે 10 વર્ષ) ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા. તેમજ યુવકનું નામ દેવાભાઈ રમેશભાઈ ઠાકોરહોવાનું જાણવા મળી રહ્યું છે. પરિણીત મહિલાનું નામ મુક્તા બેન હોવાનું જાણવા મળી રહ્યું છે. સામુહિક આપઘાતના સમાચાર વાયુવેગે પ્રસરી જતાં આજુબાજુના મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં.