ગાંધીનગર
ગુજરાતમાં સ્વાઈનફ્લૂનો કહેર યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં વધુ 3 દર્દીના મોત થયા છે આ સીઝનનો કુલ મૃત્યુઆંક 60ને પાર પહોંચ્યો છે.જ્યારે વધારે 100 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા.
શિયાળામાં જીવલેણ મનાતો સ્વાઈનફ્લૂ વકર્યો છે.બીજી તરફ રોગચાળાને અટકાવવા માટે પગલા લેવામાં આવ્યા હોવાના તંત્રના દાવાઓ પોકળ સાબિત થયા છે.24 કલાકમાં 97 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. મેગા સિટી અમદાવાદમાં સૌથી વધારે 37 કેસ નોંધાયા હતા.આ ઉપરાંત વડોદરા, સુરત, કચ્છ, મહેસાણા, રાજકોટ, અમરેલી, બનાસકાંઠા, પાટણ અને પોરબંદરમાં પણ કેસ નોંધાયા છે.
રાજ્યમાં 1લી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 1,200થી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે.ત્યારે હાલ 603 જેટલા દર્દીઓ રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. રાજ્યમાં 24 કલાકમાં વધુ 3 દર્દીઓના મોત થયા છે.આમ અત્યાર સુધીમાં આ રોગચાળામાં 60થી વધારે મોત થયા છે.રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને કાબુમાં લેવા માટે પગલા લેવામાં આવ્યા હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે.તેમ છતા દરરોજ મોટી સંખ્યામાં શંકાસ્પદ કેસ સામે આવી રહ્યાં છે.
સ્વાઈનફ્લૂ રોગચાળા મામલે રાજ્યની વડી અદાલતમાં અરજી થઈ છે. જેની ગત સુનાવણીમાં અમદાવાદ મનપાએ રિપોર્ટ રજૂ કર્યો હતો.હાઈકોર્ટે મનપા સામે નારાજગી વ્યક્ત કરીને વ્યવસ્થિત અહેવાલ રજૂ કરવા તાકીદ કરી હતી.
(તસ્વીર પ્રતીકાત્મક છે)