કોરોનાની બીજી લહેર મંદ પડતા સરકારે સામાન્ય જનજીવનમાં છૂટછાટ આપી છે. ઉદ્યોગો પણ નોર્મલ થવા માંડયા છે. ત્યારે રાજ્ય સરકાર સમક્ષ ગુજરાત રાજ્ય એસટી નિગમને પણ વધુ છૂટછાટ આપવા એસટી નિગમના કર્મચારી યુનિયન દ્વારા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત રાજ્ય એસ.ટી.નિગમના કર્મચારી મંડળના સેક્રેટરી ધીરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા 25 લાખ પ્રવાસીઓ પ્રવાસ કરે છે. પરંતુ કોરોના ને કારણે એસ.ટી.ના 50 ટકા વાહનો જ રોડ પર દોડે છે. તેમાં પણ 60 ટકા સીટિંગ કેપેસિટીથી જ પેસેન્જરોને બેસાડવામાં આવે છે. પરિણામે એસ.ટી.નિગમને નુકસાન જઈ રહ્યું છે. નાઈટ કરફ્યુને કારણે ચાર મોટા શહેરોમાં રાત્રી દરમિયાન એસ.ટી.ના પ્રવેશ પર પ્રતિબંધ છે. તેથી રાત્રિનું સંચાલન પણ બંધ છે. આમ જીએસઆરટીસીને કરોડનું નુકસાન થઇ રહ્યું છે.રાત્રી દરમિયાન એસ.ટી.ના કર્મચારીઓને પણ પોતાના ઘરે પહોંચવામાં પોલીસ સાથે તકરાર કરવી પડે છે. આથી રાજ્યના નિગમની બસોને રાત્રી દરમિયાન શહેરોમાં પણ પ્રવેશ આપવો જોઈએ.
રેલવે તેમજ એરપોર્ટની જેમ એસટી પ્રવાસીઓ પણ ટિકિટ બતાવીને જવા દેવા જોઈએ. રાત્રી દરમિયાન શહેરમાં પ્રવેશ ન મળવાથી શહેરના છેવાડે એસટી બસ દ્વારા પ્રવાસીઓને ઉત્તરાય છે. પરિણામે તે પ્રવાસીને એસટીના ભાડા કરતાં પણ વધુ ભાડું ચૂકવીને પોતાના ઘરે જવું પડે છે. જો એસટીની રાત્રી સેવા શરૂ કરાય, તો નિગમના નુકસાનમાં પણ ઘટાડો થશે.