Today Special: કેરળના મલયાલી લોકોનું વિશેષ પર્વ છે ‘વિષુ’…અને એની મુખ્ય વિશેષતા છે ‘વિષુ કાની’…જેને દર્શન પણ કહે છે. પ્રાત: કાળે અમુક શુભ વસ્તુઓનું દર્શન કરવાની પરંપરાને ‘વિષુ કાની’ (Vishu Kani 2026) કહે છે.
આ તહેવાર દક્ષિણ ભારતના પ્રાચીનતમ પર્વો પૈકીનો એક મુખ્ય તહેવાર (South Indian Festival) ગણાય છે. તે ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ ધરાવે છે.
આ તહેવાર પણ રવિ પાક લહેરાવાની ખુશીમાં મનાવવામાં આવે છે.આ વર્ષે વિષુ પર્વ 14 એપ્રિલ અર્થાત્ આજે મનાવવામાં આવી રહ્યું છે. કેરળ (Kerala)માં આ તહેવારને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે.

‘વિષુ કાની’ (Vishu Kani 2026)નું ધાર્મિક મહત્વ
ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ની પૂર્ણ વિધિવિધાનથી પૂજા કરવામાં આવે છે અને લોકો સારો પાક (Crop) ઉગે એની આશા વ્યક્ત કરે છે. આ દિવસે નવું પંચાંગ પણ વાંચવામાં આવે છે અને લોકો આખા વર્ષનું ભવિષ્યફળ (Horoscope) પણ જુએ છે. મલયાલમ કેલેન્ડર (Malayalam Calendar) અનુસાર, આ દિવસે સૂર્યદેવ પોતાની રાશિ બદલીને મેડમ અર્થાત્ મેષ રાશિમાં પ્રવેશે છે. આ તહેવાર કર્ણાટક રાજ્યમાં પણ હર્ષોલ્લાસપૂર્વક મનાવવામાં આવે છે.

વિષુ પર્વ શા માટે મનાવવામાં આવે છે?
પૌરાણિક કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ (Lord Krishna) દ્વારા નરકાસુર રાક્ષસનો વધ કરવામાં આવ્યો હતો અને બુરાઈનો નાશ કર્યો હતો. આથી જ આ દિવસે ભગવાન વિષ્ણુ અને કૃષ્ણની પૂજા કરવામાં આવે છે. કેરળ રાજ્યમાં મલયાલમ કેલેન્ડર ‘કોલ્લવર્ષમ્’ અનુસાર, એપ્રિલના મધ્ય ભાગમાં મેષ સંક્રાંતિના દિવસે ‘વિષુ કાની’ મનાવવામાં આવે છે. આ દિવસને નવ વર્ષનો પ્રારંભ પણ માનવામાં આવે છે. આ દરમિયાન, કેરળમાં નવા પાકની વાવણીની શરુઆત થાય છે. આથી ખેડૂતો માટે આ તહેવાર અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે.

શી રીતે મનાવવામાં આવે છે ‘વિષુ’ પર્વ?
આ દિવસે લોકો સવારે વહેલા ઉઠીને સ્નાન કરે છે અને નવા કપડા પહેરે છે. ત્યારબાદ, મંદિરે જાય છે અને ભગવાનના દર્શન કરે છે.
‘વિષુ કાની’ અર્થાત્ સૌપ્રથમ વિષ્ણુ ભગવાનના દર્શન કરવા! ત્યાર બાદ સૌભાગ્યશાળી ગણાતી વસ્તુઓનું દર્શન કરવામાં આવે છે. આ તહેવારના આગલા દિવસે જ વિષ્ણુ ભગવાનની પ્રતિમા સમક્ષ વિશેષ સામગ્રી એકત્રિત કરવામાં આવે છે. એક કાંસાના વાસણમાં ચોખા, કાચી કેરી, નવું વસ્ત્ર, અરીસો, સોપારી, નાગરવેલનું પાન,સોપારી, ફણસ, અમલતાસના ફૂલ વગેરે મૂકી દેવામાં આવે છે અને પાત્ર પાસે દીવો પ્રગટાવવામાં આવે છે. રંગોળી પણ પૂરવામાં આવે છે.
સવારના સમયે ઘરના વડીલ પરિવારના અન્ય સભ્યોની આંખો બંધ રાખીને ‘વિષુ કાની’ તરફ દોરી જાય છે અને સૌ મળીને એના દર્શન કરે છે. આ દર્શન બાદ, ઘરના વડીલ પરિવારના સભ્યોને યથાશક્તિ નાણાની ભેટ આપે છે.

‘સદ્ય’ નામનું એક વિશેષ ભોજન
કેરળમાં આ તહેવાર પર ‘સદ્ય’ નામનું એક વિશેષ ભોજન (Sadhya Bhojan) તૈયાર કરવામાં આવે છે જેમાં 26 પ્રકારના વિવિધ શાકાહારી વ્યંજનો સામેલ હોય છે.
આ વિશેષ દિવસના ભોજન થાળમાં ફરસાણ, મીઠા વ્યંજનો, ખાટા તથા કડવા પદાર્થોને સમાન માત્રામાં સામેલ કરવામાં આવે છે. વિષુ કાનીના આ રસથાળમાં બે વિશેષ વ્યંજનો હોય જ છે અને એ છે લીમડામાંથી બનતુ કડવું વ્યંજન ‘વેપ્પમપૂરાસમ્’ અને કાચી કેરીમાંથી બનતી ‘પચડી’ નામની ખાસ ચટણી! દર્શન બાદ સૌ પરિવારજનો હળી-મળીને આ સદ્ય ભોજન આરોગે છે.
સમગ્રતયા જોઇએ તો, દક્ષિણ ભારતના પ્રાચીનતમ પર્વો પૈકીના આ મુખ્ય તહેવાર ‘વિષુ’ને કેરળમાં આ તહેવારને સૌભાગ્યનું પ્રતીક માનીને ધૂમધામ અને આસ્થાપૂર્વક દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવવામાં આવશે.
આ પણ વાંચો: વિશ્વભરમાં આજે મનાવવામાં આવશે ‘ઈસ્ટર સન્ડે’…જાણીએ ગુડ ફ્રાઇડે પછી કેમ આવે છે આ પર્વ..!
આ પણ વાંચો: નવીન જીવન અને આત્મચિંતનનું પ્રતીક ‘પુથાન્ડુ’…આજે તમિલ નવ વર્ષ…’કન્ની કનાલ’ની પરંપરાનું વહન..!
આ પણ વાંચો: ‘બોહાગ બિહુ’ ઉત્સવ…આજે આસામનું મુખ્ય પર્વ…જાણો એની સાથે જોડાયેલી પરંપરાઓ વિશે…
