Gujarat Local Body Elections 2026/ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ મતદાનના આંકડાઓએ ચિંતાજનક ચિત્ર રજૂ કર્યું છે. રાજ્યભરમાં મતદારો(Voter)માં નિરસતા સ્પષ્ટ જોવા મળી છે. રાજ્યની 15 મહાનગરપાલિકા અને 34 જિલ્લા પંચાયતોમાં મળીને કુલ 1.36 કરોડથી વધુ મતદારો મતદાનથી દૂર રહ્યા છે, જે લોકશાહી માટે ગંભીર સંકેત માનવામાં આવે છે.
1.10 કરોડ મતદારો(Voter)માંથી 49.30 લાખ જેટલા મતદારો મતદાન કરવા પહોંચ્યા જ નથી

15 મહાનગરપાલિકાઓમાં કુલ આશરે 1.10 કરોડ મતદારો(Voter)માંથી 49.30 લાખ જેટલા મતદારો મતદાન કરવા પહોંચ્યા જ નથી. અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી ચોંકાવનારી સ્થિતિ સામે આવી છે, જ્યાં 18.31 લાખ મતદારો (48.19 ટકા)એ મતદાન કર્યું નથી. ગાંધીધામમાં 53.97 ટકા અને પોરબંદરમાં 51.16 ટકા મતદારો મતદાનથી દૂર રહ્યા હોવાનું સામે આવ્યું છે.
જિલ્લા પંચાયતોમાં પણ સમાન સ્થિતિ
34 જિલ્લા પંચાયતોમાં કુલ 87.36 લાખ મતદારો મતદાનથી દૂર રહ્યા છે. ખાસ કરીને મહિલા મતદારોમાં મતદાન પ્રત્યે વધુ નિરસતા જોવા મળી છે. દાહોદ જિલ્લા પંચાયતમાં સૌથી વધુ 2.36 લાખ પુરુષોએ મતદાન કર્યું નથી, જ્યારે બનાસકાંઠામાં 2.50 લાખ મહિલાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો નથી. જોકે, નર્મદા અને ડાંગ જેવા આદિવાસી વિસ્તારોમાં મતદાન પ્રત્યે વધુ જાગૃતિ જોવા મળી છે.
જાગૃતિ અભિયાનો છતાં અસર ઓછી
મતદાન વધારવા માટે રાજ્ય સરકાર, ચૂંટણી પંચ અને વહીવટી તંત્ર દ્વારા અનેક જાગૃતિ અભિયાન અને સોશિયલ મીડિયા કેમ્પેઈન ચલાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓ સુધી સૌએ મતદાન માટે અપીલ કરી હતી. તેમ છતાં, 1.36 કરોડ મતદારો મતદાન મથક સુધી ન પહોંચતા પ્રશ્નો ઊભા થયા છે.
લોકશાહીને ચેતવણીરૂપ સંકેત
વિશેષજ્ઞોના મતે, મતદારોની આવી ઉદાસીનતા લોકશાહી માટે ચેતવણીરૂપ છે. મતાધિકારનો ઉપયોગ ન થવો એ માત્ર વ્યક્તિગત નિષ્ક્રિયતા નહીં પરંતુ સમગ્ર પ્રણાલી માટે પડકારરૂપ બની શકે છે. મતદારોમાં જાગૃતિ વધારવા માટે વધુ અસરકારક પ્રયાસોની જરૂરિયાત સ્પષ્ટ બની છે.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા
આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું
આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું
