હજી તો ઉનાળાનો પ્રારંભ થયો છે ત્યારે જ ભુજમાં પાણીનો કકળાટ શરૂ થઈ ગયો છે શહેરીજનોને સાત સાત દિવસથી પાણી ન મળતા આજે વિપક્ષે પાલીકા કચેરીમાં હલ્લાબોલ મચાવ્યો હતો.શહેરમાં પાણી વિતરણ કરવામાં પાલીકા તંત્ર નિષફળ નીવડ્યું છે.મહિલાઓએ પ્રમુખ લતાબેન સોલંકીની સામે તેમના છાજીયા પોકારી હાય – હાય ના નારા લગાવ્યા હતા.વિરોધ અને લોકમિજાજને પારખી ગયેલા પાલિકાના શાસકોએ નિયમિત પાણી વિતરણની ખાતરી આપી હતી
ઉનાળાના પ્રારંભે અને હોળી-ધુળેટી જેવા તહેવારોના દિવસે જ પીવાનું પાણી નહીં મળતા સમગ્ર ભુજમાં પાણીનો કકળાટ ફેલાયો છે. પાણી ની સમસ્યાથી ત્રસ્ત ભુજના લોકો સાથે આજે ભુજ નગરપાલિકામાં કોંગ્રેસી નગરસેવકોએ હલ્લાબોલ કર્યો હતો.કોંગ્રેસના નગરસેવકોએ લોકોની સાથે મળીને ભુજ પાલિકાને ઘેરાવ કરી ધરણાં કર્યા હતા.
વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, વારે તહેવારે નર્મદાના પાણી મુદ્દે જશ લેતા કચ્છ ભાજપના નેતાઓ છેલ્લા એક અઠવાડિયાથી ભુજના લોકોને પીવાના પાણીની પડી રહેલી સમસ્યા સામે મૌન કેમ છે. લોકસભાની ચૂંટણીના રાજકારણમાં વ્યસ્ત ભાજપના નેતાઓ ભુજના લોકોની સમસ્યાની કંઈ પડી જ નથી. લોકોને પાણી માટે ફરજિયાત મોટો ખર્ચો કરી ટેન્કર મંગાવવા પડે છે.પાલીકા દ્વારા ટેન્કરના ફેરા કરીને પાણી વિતરણ કરાય છે પરંતુ તે ટેન્કરો ભાજપના નગરસેવકો પોતાના મળતીયા ને આપતા હોવાનો આક્ષેપ કરાયો હતો તો કોંગ્રેસે તમામ ટેન્કરોની ચાવી ઝુંટવી લીધી હતી બાદમાં તે પરત આપી હતી.પાણી મુદ્દે આકરા પાણીએ થયેલી મહિલાઓએ મહિલા પ્રમુખના છજીયા લઈને હાય હાય ના સૂત્રો પોકાર્યા હતા.વિપક્ષી નેતાએ જણાવ્યું કે , પ્રમુખ લતાબેનને પાલિકાના વહીવટ મુદ્દે કોઈ પ્રકારનું જ્ઞાન નથી કોઈ ગતાગમ નથી માત્ર ખુરશી પર બેસવા સિવાય તેવો કોઈ કામ કરતા નથી.
આ બાબતે પ્રમુખ લતાબેને જણાવ્યું કે , નર્મદા લાઈનનું ત્રણ દિવસનું કામ હતું પણ કામ પૂર્ણ ન થતા નર્મદાનું પાણી મળી શક્યું નથી.ભુજમાં પાણી વિતરણ માટે નર્મદા સિવાય બીજો કોઈ સ્ત્રોત નથી. ભારાપર યોજનાનો સંપ બંધ છે.તાલુકાના કૂકમા ગામે નવા બોર માટે ખોદકામ શરૂ કરાયું હતું પણ ત્યાંના સરપંચે વિવાદ ઉભો કર્યો હતો દરમિયાન કલેકટરે હુકમ કરતા અહીં કામ શરૂ કરાયું છે.ગત રાતથી પાણી વિતરણ શરૂ કરાયું છે તબક્કાવાર શહેરમાં પાણી વિતરણ કરવામાં આવશે.યોગ્ય વ્યવસ્થા માટે વિપક્ષ સાથે મળીને બેઠક યોજવામાં આવશે.