- મુઘલો- અંગ્રેજો સામે લડનારા આદિવાસી સમાજનો ઇતિહાસ અતિભવ્ય: કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ
- દેડિયાપાડા ખાતે ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો પ્રારંભ કરાવાયું
- અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસીઓનો સર્વાંગી વિકાસ કરીને મુખ્યધારામાં લાવવાના ધ્યેયું સફળ અમલીકરણ
નર્મદાઃ નર્મદા જિલ્લામાં દેડિયાપાડા આદર્શ નિવાસી શાળાના પટાંગણમાં રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલની પ્રેરણાદાયી ઉપસ્થિતિમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી. પોતાની આગવી ઓળખ અને સંસ્કૃતિ ધરાવતા, પ્રકૃતિના ખોળે વસતા પ્રકૃતિ પ્રેમી આદિવાસી સમુદાયને સંબોધતા કૃષિ મંત્રીશ્રીએ આદિજાતિ મહાનાયકોના બલિદાનોને બિરદાવતા જણાવ્યું કે, મુઘલો અને અંગ્રેજો સામે લડનારા આપણા આદિવાસી સમુદાયનો ઇતિહાસ અતિભવ્ય અને ગૌરવવંતો છે.
આઝાદીની લડતમાં પોતાના અમૂલ્ય યોગદાન આપનારા મહાનાયકો આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બને તે દેડિયાપાડા ખાતે ટ્રાયબલ મ્યુઝિયમનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. અંબાજીથી ઉમરગામ સુધીના પૂર્વપટ્ટામાં વસતા રાજ્યના અભિન્ન અંગ સમાન આદિવાસી સમુદાયનો સર્વાંગી વિકાસ કરીને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વનબંધુ કલ્યાણ યોજનાનું સફળ અમલીકરણ કર્યું છે.
વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે પણ આદિજાતિ સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્કર્ષને ધ્યાનમાં રાખીને અનેકવિધ આદિજાતિહિતલક્ષી યોજનાઓનું અમલીકરણ કર્યું છે. મંત્રીશ્રીએ વધુમાં સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, ફ્રી શીપ કાર્ડ યોજના, મા અન્નપૂર્ણા યોજના જેવી વિવિધ યોજનાઓનો લાભ લેવા આદિજાતિ બાંધવોને અનુરોધ કર્યો હતો.
મંત્રીશ્રીએ કહ્યુ કે, રાજપીપળા ખાતેની બિરસામુંડા ટ્રાયબલ યુનિવર્સિટી, સમરસ હોસ્ટેલ, શાળા-આંગણવાડીના બાળકો માટે શ્રેષ્ઠ શિક્ષણ અને પોષણની સુવિધા ઉપલબ્ધ કરાવીને શૈક્ષણિક ઉત્કર્ષની દિશામાં રાજ્ય સરકારે અવિરત કામગીરી કરી છે. પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિના રક્ષક એવા આદિવાસી બાંધવોને પ્રાકૃતિક કૃષિ તરફ પ્રયાણ કરવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ સમારોહ દરમિયાન વિવિધ યોજનાના લાભાર્થીઓને લાભોના ચેક વિતરણ કરવા સહિત આદિવાસી સમાજના વિશેષ સિદ્ધી પ્રાપ્ત કરનાર પ્રગતિશીલ ખેડૂતો-પશુપાલકો, રમતવીરો, કલાકારો, શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ પરિણામ હાંસલ કરનાર વિદ્યાર્થીઓ અને દેશની સુરક્ષા માટે ખડેપગે સેવા આપતા વીર-જવાનોના પરિવારને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.
દેડિયાપાડા ખાતે “મારી માટી, મારો દેશ” અભિયાનનનો શુભારંભ કરાવતા મંત્રી શ્રી રાઘવજી પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સર્વ સમાજને સાથે લઈને વિશ્વમાં ફરી એક વાર દેશની એકતા અને અખંડિતતા પ્રસ્થાપિત કરીને દેશની આન બાન અને શાનમાં વધારો કર્યો છે. ત્યારે આઝાદીના ૭૫ વર્ષની સ્વર્ણિમ ઉજવણી પ્રસંગે વીર જવાનોના બલિદાનોને બિરદાવવા તથા માટીનું ઋણ અદા કરવા માટે સરકારશ્રીના ‘મારી માટી, મારો દેશ’ અભિયાનનો મંત્રીશ્રીએ પ્રારંભ કરાવ્યો હતો.
મંત્રીશ્રીએ શાળાના પટાંગણમાં માતૃભૂમિની સ્વતંત્રતા અને ગૌરવની રક્ષા માટે બલિદાન આપનાર તમામ વીરોની યાદમાં તકતી (શીલાફલકમ)નું અનાવરણ કરીને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે સૌ આદિવાસી બાંધવોને હાથમાં માટીના દીવામાં માટીની સાક્ષીમાં રાષ્ટ્રના વિકાસ, દેશના વારસાનું સંરક્ષણ, દેશની એકતા અને પોતાના ફરજો, જવાબદારી સહિત ગુલામીની માનસિકતામાંથી મુક્તિ અંગે અમૃતકાળના પંચ પ્રણની સામુહિક પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રગાન થકી માટીને નમન અને વીરોને વંદન કર્યુ હતું.
આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રયુષાબેન વસાવા, દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખશ્રી તારાબેન રાઠોડ, સાગબારા તાલુકા પંચાયત પ્રમુખશ્રી રોહિદાસ વસાવા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અંકિત પન્નુ, ગાંધીનગરથી એકલવ્ય મોડલ સ્કુલના ડાયરેક્ટરશ્રી, દેડિયાપાડા પ્રાંત અધિકારીશ્રી આનંદ ઉકાણી સહિત જિલ્લા-તાલુકાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના બાંધવોએ પોતાની ઉત્સાહભેર ભાગીદારી નોંધાવી હતી.
આ પણ વાંચોઃ છેતરપિંડી/જ્યોતિષને EDના ડાયરેક્ટરની ઓળખ બતાવી ચાલકે ટેન્ડરનું કામ કરાવવાના નામે લઇ ગયો 1.5 કરોડ
આ પણ વાંચોઃ ઢોર ડબ્બાનું રિયાલીટી/જામનગરમાં ઢોર ડબ્બાની હાલત દયનીય, રખડતા ઢોરથી જનતા ત્રાહીમામ
આ પણ વાંચોઃ સુરત/બલેશ્વર ગામમાં ધુમાડાની સમસ્યાથી સ્થાનિકો પરેશાન,લોકોના સ્વાસ્થ્યને નુકસાન
આ પણ વાંચોઃ આ વિદ્યાપીઠને બાપુના સંસ્કાર આપો../મહાત્મા ગાંધીની વિદ્યાપીઠમાં નશાનું હબ?
આ પણ વાંચોઃ Farmer Assistance/જગતના તાતને સરકારનો સાથઃ નવ વર્ષમાં અસરગ્રસ્ત ખેડૂતોને 10,000 કરોડથી વધુની સહાય ચૂકવાઈ