માતૃત્વ : ભાવિની વસાણી
તોફાન નામ પડતાં વ્હેંત આપણને બાળકૃષ્ણ યાદ આવે છે. ભગવાન કૃષ્ણના બાળપણના તોફાનને તેમની “બાળલીલા” તરીકે ઓળખવામાં આવ્યા છે. કૃષ્ણ પોતે માખણ ચોર હતા , છતાં આવું કેમ ? એક બાજુ ચોરી અને છતાં લીલા કઈ રીતે ? આ અંગે બી.આર.ચોપરા નિર્મિત મહાભારત સિરિયલમાં કૃષ્ણનું પાત્ર ભજવનાર નીતીશ ભારદ્વાજે તેના એક વિડીઓમાં જણાવી છે. જેનો ટુંકસાર એ છે કે ભગવાન કૃષ્ણનો માખણ ચોરી પાછળનો ઉદ્દેશ્ય કંસ દ્વારા ગોકુળવાસીઓ પાસેથી જોહુકમીથી અને ખોટી રીતે વસૂલવામાં આવતા માખણ રૂપી ટેકસ માંથી બચાવવાનો એટલે કે પરોપકારનો હતો. જ્યારે આપણા બાળકો તોફાન કરે છે ત્યારે વડવાઓ કહેતા આવ્યા છે કે બાળકો એ ભગવાનનું રૂપ કહેવાય અને તે જે તોફાન કરે તેને લીલા કહેવાય, પરંતુ અત્યારના હાઇટેક યુગમાં બાળકોના તોફાન પણ વધ્યા છે, ત્યારે કયા તોફાન ને માત્ર તોફાન ગણવા ? અને કયા તોફાનને લીલા ગણવા ? તે માટે આપણે અહીં કેટલાક મુદ્દાઓ સમજવાનો પ્રયત્ન કરીએ જેના આધારે તેની સમજ પડી જશે. તેમજ આ વખતે શું કરવું જોઈએ તે પણ અહીં દર્શાવવામાં આવ્યું છે.
* સૌપ્રથમ તો વાલી તરીકે બાળકો કયા પ્રકારના તોફાન કરી રહ્યા છે તેની યાદી કરો.
* આ તોફાનમાં કેટલા તોફાન એવા છે કે જે નિર્દોષ છે, જેનાથી કોઈને કશું જ નુકસાન થતું નથી તેને અલગ પાડો.
* હવે બાળક દ્વારા કરવામાં આવતા નુકસાનદાયક તોફાનની યાદી બનાવો.
* બાળક વધારે કયા પ્રકારના તોફાન કરે છે નુકસાનદાયક કે નિર્દોષ ? તેનું નિરીક્ષણ કરો.
* જો બાળકના તોફાન ખૂબ જ નિર્દોષ હોય કે જેના દ્વારા તેનો હેતુ અન્યની મદદ કરવાનો કે પછી પોતાના દ્વારા કશુંક સર્જન કરવાનો હોય છે. તેનાથી ઘરની અન્ય વ્યક્તિઓને કે પોતાને કોઈ જ નુકશાન નથી પરંતુ કંઈક નાની મોટી તોડફોડ, કાપકૂપ કે પછી કોઈ વસ્તુનો વધારે પડતો વપરાશ કરવામાં આવી રહ્યો છે. તો આવા તોફાનને તમે તેની “બાળલીલા”માં ગણાવી શકો છો.
* જો ઘરમાં વડીલોના ઊંઘવાના સમયે બાળક વધારે પડતો અવાજ કરતો હોય તો તે બાળ સહજ સામાન્ય તોફાન છે, તેને સમજાવી અને ડાઈવર્ટ કરી શકાય.
* બાળક કાગળ અને કાતર કે ફેવિકોલનો ઉપયોગ કરીને કંઈક બનાવ્યા કરે છે, જેના દ્વારા કોઈને બીજું કંઈ નુકસાન થતું નથી તો તેને કરવા દેવું જોઈએ. આ તેની સર્જનાત્મકતાનો જ ભાગ છે, તોફાન નથી.
* બાળક કોઇ રમકડાની કે ચીજવસ્તુઓની તોડફોડ કરી નાખે છે, તેને ખોલી અને દરેક ભાગ છૂટા કરી નાખે છે. પરંતુ તેના દ્વારા અન્ય કોઈને બીજું કંઈ નુકસાન નથી તો તેને તેમ કરવા દો કારણકે આ બાળકની જિજ્ઞાસાવૃત્તિ અને સર્જનાત્મકતાનો ભાગ હોઈ શકે અને આવા બાળસહજ તોફાન એ પણ બાળકોમાં હોવા જ જોઈએ. અન્યથા ડાહ્યા ડમરા દેખાતા ભોટની જેમ એક જગ્યાએ શાંતિથી બેઠા રહેતા બાળકોના વિકાસમાં ખામી છે તેમ કહી શકાય.
* બાળક રાડો પાડી અને સામે બોલે તો આ વર્તન તમને ઘણી વખત ક્ષોભમાં મૂકી શકે છે, આવું વર્તન હોય તેને ગેરવર્તણૂક કહેવાય તે તોફાન પણ નથી અને લીલા પણ નથી. આ વખતે બાળકને સીધો કોઈ ઉપદેશથી સમજાવવાના બદલે તેને અન્ય કોઈ ના ઉદાહરણ આપી અથવા તો બોધ કથા સંભળાવી અને સમજાવી શકાય. પરંતુ તેનું પરિણામ તાત્કાલિક નહીં આવે ધીરે ધીરે આવશે.
* બાળક જ્યારે પોતાના જેવડા અન્ય મિત્રોને કે પછી ભાઈ કે બહેનને ગુસ્સામાં મારી દે તો આ વર્તન પણ લીલા નહીં તોફાન જ કહેવાય, એક વખત બાળકનો હાથ ઉપાડવાનું શરૂ થાય છે, જો તેને રોકવામાં ન આવે તો પછી ધીમે ધીમે તેને આદત પડી જાય છે. આવી આદત પડે તે પહેલા જ તેને શામ, દામ, દંડ અને ભેદ તમામ રીતે તેને તેમ કરતો રોકવું જોઈએ.
* બાળક દ્વારા ગલ્લામાં પૈસા ભેગા કરવામાં આવે, ઘરમાં આપવામાં આવેલું ખાવાનું મિત્રોમાં વહેચી દેવામાં આવે, પોતાની વસ્તુ બીજાને ભેટ આપી દેવામાં આવે આ બધી આદતોની કોઈ જ આડઅસર નથી માટે તેને લીલા જ ગણી શકાય.
* બાળક જ્યારે કોઈ વસ્તુની લાલચમાં આવી અને ચોરી કરે છે, તે નાનામાં નાની વસ્તુ જ કેમ ન હોય પરંતુ તે ચલાવી શકાય નહીં માટે તેને તો તોફાન જ ગણવા જોઈએ. આ વખતે પણ તેને આમ કરતું અટકાવવાનો પૂરતો પ્રયત્ન થવો જોઈએ.
* બાળક કોઈ પણ જાતના કારણ વિના ખોટું બોલે અને ઘરના વડીલો પાસે કોઈ બાબત છુપાવે તો તે પણ તોફાન જ ગણી શકાય કારણકે આ આદત આગળ જતાં નુકશાનદાયક નીવડી શકે છે.
* બાળક મમ્મી-પપ્પા કે દાદા-દાદીને ખાસ કારણથી ખાસ પ્રસંગે ખુશ કરવા માટે કે તેઓને સરપ્રાઈઝ આપવા માટે જ્યારે કોઈ બાબત છુપાવે છે, ત્યારે તેનો હેતુ પરિવારજનોને ખુશ કરવાનો હોય છે તેને તોફાન નહીં પરંતુ લીલા જ ગણી શકાય.
* બાળક મસ્તી અને ટીખળ કરવા માટે ઘરની કોઈ વસ્તુઓ છુપાવી દે અને પરિવારજનોને ધંધે લગાડે તો તેને તોફાન જ ગણી શકાય. આ વખતે પણ તેને ડાયવર્ટ કરવાની શાંતિપૂર્વક પરંતુ પૂરતી કોશિશ કરવી જોઈએ.
* બાળક જ્યારે કોઈ વસ્તુ અપાવવા માટેની જીદ કરવા માટે રડે છે, આ પણ તેની ‘બાળહઠ’નો કે ‘બાળલીલા’નો એક ભાગ જ છે. માટે આવું ક્યારેક-ક્યારેક થાય તો તે સામાન્ય ગણી શકાય, પરંતુ વધારે વખત ન થાય તે માટે માતા-પિતાએ દર વખતે તેની જીદ પૂર્ણ કરવી જોઈએ નહીં.
* બાળક જ્યારે સ્કૂલના શિક્ષકોની ઘરમાં ખોટી ફરિયાદ કરે ત્યારે માતા-પિતાએ આ બાબતની સાચી ચકાસણી કરવી જોઈએ અન્યથા ભવિષ્યમાં ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવાનો વારો આવી શકે છે.
* બાળકને જ્યારે હોમવર્ક ન કરવું હોય તેના કારણે બીમારીનું બહાનું કરે અને પેટમાં દુખે છે, માથું દુખે છે વગેરે જણાવે અથવા સ્કૂલે જવાની ના પાડે ત્યારે તે સાચું બોલે છે કે ખોટું તેના હાવભાવ પરથી જ માતા-પિતા ઓળખી જવા જોઈએ. અન્યથા તેને હોમવર્કમાં દિલ ચોરી કરવાની કે શાળામાં રજા પાડવાની આદત પડી જશે.
આમ, આવી કેટલીક બાબતો હોય છે જેને માતા-પિતા કે વડીલો પોતે જ નિરીક્ષણ કરી અને ઓળખી જાય તો બાળકને સારો નાગરિક બનાવી શકાય છે અન્યથા ગુન્હેગાર બનતા પણ વાર લાગતી નથી.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…