દિલ્લી,
દેશ આજે ૬૯મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. આ પ્રસંગે રાજધાની દિલ્લીમાં રાજપથ ખાતે શાનદાર પરેડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પરેડમાં ભારતીય સેનાની ત્રણેય સેના થલ, જલ અને વાયુ સેનાઓની તાકાતની ઝાંખી પૂરી દુનિયા જોઈ રહી છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને વાયુસેનાના શહીદ ગરુડ કમાંડો જે પી નિરાલા (મરણોપરાંત)ને સેનાના સૌથી મોટા વીરતા પુરસ્કાર અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. શહીદ જે પી નિરાલાના પત્નીએ આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. જો કે આ સન્માન આપતી વખતે રાષ્ટ્રપતિ કોવિંદ પણ ભાવુક થઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાના ઈતિહાસમાં આ પહેલો અવસર છે ત્યારે કોઈ ગરુડ કમાન્ડોને સેનાના સૌથી મોટા સન્માન અશોક ચક્રથી નવાજવામાં આવી રહ્યા છે. ગરુડ કમાન્ડો જે પી નિરાલા ત્રણ મહિના પહેલા આતંક વિરોધી અભિયાનના ભાગરૂપે સ્પેશીયલ ડ્યુટી પર કાશ્મીરના હાજીનમાં સેના સાથે તૈનાત હતા. ત્યારે શ્રીનગરમાં એક ઓપરેશન દરમિયાન સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં શહીદ થયા હતા.
શહીદ નિરાલા બિહારના રોહ્તાસના નિવાસી હતા અને તેઓએ ૨૦૦૫માં વાયુસેનામાં શામિલ થયા હતા. જે પી નિરલાના પરિવારમાં તેઓના માતા- પિતાની સાથે પત્ની સુષ્મા અને ૪ વર્ષની દિકરી જીજ્ઞાસા છે. તેઓની પત્નીએ જણાવ્યું હતું કે, તેઓ હંમેશા વીરતાની વાત કરતા હતા. તેમની ૮ વર્ષની સેનામાં સર્વિસ થઇ હતી અને જુલાઈ ૨૦૧૭માં કાશ્મીરમાં જવાનો મૌકો મળ્યો હતો.
શહીદ નિરાલાના પિતા તેજનારાયને જણાવ્યું હતું કે, નિરાલા તેઓનો એકનો એક દિકરા હતા, પરંતુ આજે મને ગર્વ છે કે તેઓ દેશ માટે શહીદ થયા છે અને પોતાનું જીવન દેશ માટે કુરબાન કર્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું સ્વાગત કર્યું હતું અને ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે આ કાર્યક્રમની શરૂઆત થઇ હતી. આ પહેલા પીએમ મોદીએ રાજપથ ખાતે આસિયાન દેશોના પ્રમુખોનું સ્વાગત કર્યું હતું અને તમામ રાષ્ટ્રપ્રમુખ માથા પર સાફો પહેરીને આવ્યા હતા.