કળિયુગને લઈને શાસ્ત્રો અને પુરાણોમાં અનેક કથાઓ વર્ણવવામાં આવી છે. કળિયુગના આગમન વિશે મહાભારતમાં પણ ઉલ્લેખ છે. મહાભારતમાં વર્ણિત કથા અનુસાર કળિયુગની ઉત્પત્તિ એક ઋષિના શ્રાપથી થઈ હતી. કલયુગની વાત કરીએ તો લોકોના મનમાં વારંવાર આ પ્રશ્ન ઉદ્ભવે છે કે, તેની શરૂઆત કેવી રીતે થઈ? કળિયુગ ક્યાં સુધી ચાલશે? અને તે કેટલા વર્ષ છે? મહાભારતના આદિ પર્વમાં વર્ણિત કથા અનુસાર, જાણીએ કે એ ઋષિ કોણ હતા જેમનો શાપ ફળ્યો અને કળિયુગની શરૂઆત થઈ.
કળિયુગની શરૂઆત શ્રૃંગીના શાપથી થઈ હતી
સનાતન ધર્મના મુખ્ય ગ્રંથ મહાભારત અનુસાર, એકવાર શ્રૃંગી ઋષિએ રાજા પરીક્ષિતને ગુસ્સામાં શાપ આપ્યો હતો. રાજા પરીક્ષિત અર્જુનના પૌત્ર અને અભિમન્યુના પુત્ર હતા. રાજા પરીક્ષિત વિશે શાસ્ત્રોમાં વર્ણન છે કે તેઓ ન્યાયી રાજા હતા અને તેમના શાસન દરમિયાન લોકો સુખેથી જીવન જીવતા હતા. કહેવાય છે કે એકવાર તે શિકાર માટે જંગલમાં ગયા, જ્યાં તેમણે શમિક ઋષિને ધ્યાન કરતા જોયા હતા. ઋષિ શમિક ધ્યાનની અવસ્થામાં સાવ મૌન હતા. ધ્યાન અને મૌનને કારણે ઋષિએ રાજા પરીક્ષિત સાથે વાત કરી નહીં. જે બાદ તે ગુસ્સે થઈ ગયા. રાજા પરીક્ષિતે ક્રોધમાં આવીને ઋષિના ગળામાં મૃત સાપ મૂક્યો.
જ્યારે ઋષિ શમિકના પુત્ર શ્રૃંગીને આ ઘટનાની જાણ થઈ ત્યારે તેમણે રાજા પરીક્ષિતને શાપ આપ્યો. શ્રૃંગી ઋષિએ રાજા પરીક્ષિતને શાપ આપ્યો અને કહ્યું કે, સાત દિવસમાં તક્ષક નાગના ડંખથી તેનું મૃત્યુ થશે. જ્યારે સમય આવ્યો ત્યારે ઋષિ શ્રૃંગીનો શાપ ફળદાયી સાબિત થયો અને તક્ષક નાગે રાજા પરીક્ષિતને ડંખ માર્યો. જે બાદ તેમનું મોત થયું હતું. પરિણામે કળિયુગનું આગમન થયું. કળિયુગના આગમનની આ ઘટના મહાભારતના આદિ પર્વમાં જોવા મળે છે.
કળિયુગ કેટલો સમય ચાલશે, તેની આયુ કેટલી છે?
કળિયુગના સમગ્ર સમયગાળા વિશે વિદ્વાનોનું માનવું છે કે અત્યાર સુધીમાં 3102+2023 એટલે કે કળિયુગના 5125 વર્ષ વીતી ગયા છે. જ્યારે 4,32,000 માંથી 5125 વર્ષ બાદ કરીએ તો 4,26,875 બાકી રહે છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે કળિયુગ સમાપ્ત થવામાં હજુ ઘણો સમય બાકી છે. શાસ્ત્રોમાં કલિયુગના ચાર તબક્કાનું વર્ણન કરવામાં આવ્યું છે. હાલમાં કળિયુગનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. ભવિષ્ય પુરાણ અનુસાર કળિયુગના ચોથા તબક્કામાં માણસની ઉંમર માત્ર 20 વર્ષની હશે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: