ન્યૂયોર્ક,
આતંકવાદને શરણ આપનાર પાકિસ્તાનને આજે આતંકવાદને લઇને બે મોટા માઠા સમાચાર મળ્યા છે. અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં આતંકી ફંડિગને લઇને એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવનો હેતુ આતંકી સંગઠનોને મળતા ફંડ પર પ્રતિબંધ લગાવવાનો છે. તે ઉપરાંત અમેરિકાની સંસદમાં પણ આતંકવાદને નાથવા માટેનો પ્રસ્તાવ રજૂ કરાયો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં પસાર થયેલા આ પ્રસ્તાવથી ભારતને તેના આતંકવાદ રોકવાના પ્રયાસોમાં એક મોટી સફળતા હાંસલ છે.
આ પ્રસ્તાવ પસાર થયા બાદ યુએનમાં ભારતના સ્થાયી સભ્ય સૈયદ અકબરુદ્દીને પાકિસ્તાનની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે કેટલાક દેશો આતંકી પ્રવૃત્તિઓને અને આતંકવાદી સંગઠનોને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે પાકિસ્તાનનું નામ આપ્યા વગર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા કે કેટલાક લોકો આતંકવાદને સતત સમર્થન આપી રહ્યા છે. આતંકીઓ આજે કોઇપણ પ્રકારે નિયમો તોડવા તૈયાર છે અને અલગ અલગ રીતે તેઓના બદઇરાદાઓને અંજામ આપી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે UN (સંયુક્ત રાષ્ટ્ર)માં જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર પ્રતિબંધ લાદવા ભારતની પહેલથી જ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સંયુક્ત રાષ્ટ્રમાં પ્રતિબંધ લગાવવાનો પ્રસ્તાવ ફરીથી લાવ્યા હતા. આ પ્રસ્તાવ સામે ચીને વીટો પાવર લગાવીને ટેક્નિકલ પ્રતિબંધ લગાવી દીધો હતો. પરંતુ આ તમામ દેશો એકવાર ફરીથી પ્રસ્તાવ લઇને આવ્યા છે.
મસૂદ અઝહર પર પ્રતિબંધના પ્રસ્તાવ સામે ચીનનો સતત વિરોધ
નોંધનીય છે કે 13 માર્ચે ચીનના વીટો લગાવ્યા બાદ 27 માર્ચે અમેરિકાએ યુએન સામે ફરીથી આ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમેરિકા તરફથી ફરી લાવવામાં આવેલા પ્રસ્તાવ પર ચીને વિરોધ કરતા કહ્યું છે કે, તે UNSCમાં મસૂદ અઝહરને આતંકી જાહેર કરવાના અમેરિકા તરફથી ફરી એકવાર લાવવામાં આવેલા એકપક્ષીય પ્રસ્તાવનું સમર્થન નહીં કરે. તે ઉપરાંત પુલવામા હુમલાનો દોષી મસૂદ અઝહર હજુ પાકિસ્તાનમાં છે અને ચીન પોતાના વીટોના દમ પર ચોથીવાર તેને ગ્લોબલ આતંકી જાહેર થવાથી બચાવી ચૂક્યું છે. પાકિસ્તાને આ પગલાં માટે ચીનને ધન્યવાદ પણ પાઠવ્યા હતા.