અમદાવાદ,
હાર્દિક પટેલને હાઇકોર્ટે મોટો ઝટકો આપ્યો છે. હાઇકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધી છે. જેના કારણે હાર્દિક પટેલ હવે લોકસભા ચૂંટણી લડી શકશે નહીં .હાઇકોર્ટે બન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ ચૂકાદો આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું હતું કે નીચલી કોર્ટનો ચૂકાદો અમાન્ય ના ગણી શકાય.
હાર્દિક પટેલ પર તોફાન ફેલાવવાના આરોપ પર ગુજરાત હાઇકોર્ટે આ ચૂકાદો આપ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018 માં કોર્ટે પાટીદાર નેતા હાર્દિક પટેલને દોષિત ઠેરવીને તેને 2 વર્ષની સજા કરી હતી. હાઇકોર્ટ દ્વારા અવલોકન કરવામાં આવ્યું કે હાર્દિકના વકીલની પુરાવા નહીં હોવાની વાત સ્વીકારી શકાય નહીં. હાઇકોર્ટે ઓર્ડરમાં નોંધ્યું કે હાર્દિક વિરુદ્ધ વિવિધ પોલીસ સ્ટેશનમાં અનેક ફરિયાદો નોંધવામાં આવી છે. કોર્ટને આપેલી બાહેંધરી બાદ પણ તેની વિરુદ્વ અનેક FIR નોંધાયેલી છે.
સરકાર તરફથી વકીલ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી કે, સ્ટે આપતાં પહેલા કોર્ટે તમામ પાસાઓને ધ્યાનમાં લેવા જોઇએ. માત્ર જે કેસની વાત થાય છે તે પુરતું નથી, પરંતુ આરોપીના ગુનાહિત ઇતિહાસના ધ્યાનમાં લેવો પણ આવશ્યક છે. હાર્દિક સામે રાજદ્રોહ સહિતના કેસો નોંધાયેલા છે, હાર્દિકને કાયદાનો ડર ના હોય તે પ્રકારની વતર્ણૂક કરે છે. તેથી જ સજાના હુકમ સામે અસાધારણ સંજોગોમાં જ મનાઇહુકમ આપવો જોઇએ.
સરકારે વધુમાં એવી પણ દલીલ કરી હતી કે, જન પ્રતિનિધિ બનવા માટે ધારાસભ્ય કે સાંસદ બનવું જરુરી નથી. મહાત્મા ગાંધી કયારેય ચૂંટણી લડયા ન હોતા. તો પણ તેઓ રાષ્ટ્રપિતા બન્યા હતા. સામાજીક પ્રતિનિધિ હોવાથી અને લોકસભા ચૂંટણી લડવી હોવાથી કોઇની સજાને સસ્પેન્ડ કરી શકાય નહીં.
હાર્દિકે અગાઉ સજા પર સ્ટેની માંગ કરી હતી
જણાવી દઇએ કે ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તારીખ 4 એપ્રિલ છે. હાર્દિક પટેલે અગાઉની સુનાવણીમાં કહ્યું હતું કે હાઇકોર્ટથી રાહત નહીં મળે તો તેઓ સુપ્રીમ કોર્ટમાં જઇ શકે છે. કોંગ્રેસમાં સામેલ થવાના ચાર દિવસ પહેલા પટેલે હાઇકોર્ટને આગ્રહ કર્યો હતો કે વિસનગરના બીજેપી સાંસદ ઋશિકેશ પટેલના કાર્યાલયમાં કરાયેલી તોડફોડ અને તોફાનના મામલામાં તેને મળેલી સજા પર સ્ટેનો આદેશ આપવામાં આવે. નોંધનીય છે કે હાર્દિક પટેલના નેતૃત્વમાં થયેલી પહેલી રેલી દરમિયાન 23 જુલાઇ 2015 ના રોજ આ હિંસાની ઘટના બની હતી.