ન્યુયોર્ક,
અમેરિકા દ્વારા ઈરાન પર લગાવવમાં આવેલા પ્રતિબંધ બાદ ભારત દ્વારા આયાત કરવામાં આવતા ક્રુડ ઓઈલ મામલે ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે આ વચ્ચે ભારત માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે.
ટ્રમ્પ પ્રશાસનના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું છે કે, “ઈરાન પર ચાર નવેમ્બરથી અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા સખ્ત પ્રતિબંધ બાદ ભારતમાં તેલની આયાતની જરૂરતને અમેરિકા સમજે છે“.
તેઓએ વધુમાં જણાવ્યું, “ક્રુડ ઓઈલની વૈકલ્પિક આપૂર્તિ માટે વાતચીત થઇ રહી છે, જેથી અમારા મિત્ર દેશ ભારતની અર્થવ્યવસ્થા પર તેની ખરાબ અસર ન પડે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષની શરૂઆતમાં જ અમેરિકા દ્વારા ૨૦૧૫ના ઈરાન પરમાણુ સંધિ પરથી પાછા હટીને ઈરાન પર સખ્ત પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન અમેરિકા આશા રાખી રહ્યું છે કે, ભારત સહિત તમામ દેશ ઈરાનથી તેલની આયાત શૂન્ય સુધી પહોચાડી દેવામાં આવે.
આ ઉપરાંત અમેરિકા દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઈરાન સાથે દુનિયાનો જે પણ દેશ વેપાર કરશે, તે દેશનો અમેરિકાની બેન્કિંગ સિસ્ટમ પ્રણાલી અને નાણાકીય પ્રણાલીમાંથી બહિસ્કાર કરવામાં આવશે.
જો કે અમેરિકા દ્વારા ઈરાન પર લગાવવામાં આવેલા પ્રતિબંધ પર UN દ્વારા મહોર મારવામાં આવી નથી. પરંતુ ભારતનો હંમેશા આગ્રહ રહ્યો છે કે, તેઓ માત્ર સંયુક્ત રાષ્ટ્ર દ્વારા જ લગાવવામાં આવેલા પ્રતિબંધ પર પ્રભાવ કરે છે.
બીજી બાજુ અમેરિકાના પ્રતિબંધ બાદ ભારત દ્વારા પહેલેથી જ ઈરાનમાંથી ક્રુડ ઓઈલ આયાત કરવાનું ઓછુ કરી દીધું છે, પરંતુ ભારત દ્વારા એ સંકેત પણ આપવામાં આવ્યા છે કે, તેઓ પોતાની ઉર્જાની ખપત માટે આયાતને શૂન્ય સુધી પહોચાડશે નહિ.