ટીમના વાઈસ-કેપ્ટન રોહિત શર્માએ કહ્યું છે કે ક્રિકેટરોએ ટાઈટ શેડ્યૂલ વિશે ફરિયાદ કરવી ન જોઈએ, કારણ કે એમની કારકિર્દી જ ટૂંકી રહેતી હોય છે.
ભારતીય ટીમ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે પાંચ વન-ડે ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ અને ત્યારબાદ ત્રણ ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમવાની છે. પહેલી વન-ડે મેચ 17 સપ્ટેંબરે ચેન્નાઈમાં રમાશે.
ભારતીય ટીમ ઘરઆંગણે જ ન્યૂ ઝીલેન્ડ અને શ્રીલંકા સામે રમશે ત્યારબાદ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે જશે.
રોહિત શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)ની વેબસાઈટે એમ કહ્યું કે ક્રિકેટરોની કારકિર્દી મર્યાદિત સમયની હોય છે. આપણે કંઈ 60, 70 વર્ષની ઉંમર સુધી રમી શકતા નથી. આપણને જે સમય મળ્યો હોય છે એનો જ યોગ્ય રીતે ઉપયોગ કરવાનો હોય છે. એમાં થાક લાગતો હોવાની કે ટાઈટ મેચ શેડ્યૂલની ફરિયાદ ન કરાય. એ તો ચાલ્યા કરશે.
શર્માએ વધુમાં કહ્યું છે કે વ્યસ્ત સમયપત્રક સાથે આપણે ટેવાઈ જવાનું છે. આ કંઈ નવી વાત નથી, એ તો અગાઉથી બનતી આવી છે.