અમદાવાદ.
રાજ્યમાં ખાનગી સ્કૂલની મનમાનીની સામે મધ્યમ અને ગરીબ વર્ગના વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા ફી નિયમન કમિટીની રચના કરાઈ હતી. ત્યારબાદ ખાનગી સંચાલકો દ્વારા સમગ્ર મામલાને સુપ્રીમ કોર્ટ સુધી લઇ જવાયો હતો. બે સપ્તાહ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા 31 જુલાઈ સુધીમાં રાજ્યની તમામ શાળાઓને પોતાની દરખાસ્ત રજુ કરવાનો આદેશ કરાયો હતો પરંતુ અમદાવાદ ઝોનને આવરી લેતા 9 જિલ્લાઓમાંથી 20થી વધુ શાળાઓએ પોતાની દરખાસ્ત અને એફિડેવિટ રજુ કર્યા નથી.
ગત બે અઠવાડિયા અગાઉ એક્સ્ટ્રા એક્ટિવિટી, સત્ર ફી વગેરે બાબતે સુપ્રીમ કોર્ટે રાજ્યભરની 1800 શાળાઓને પોતાનું ફી માળખું, ફી કમિટી સમક્ષ રજુ કરવાનો આદેશ કર્યો હતો. પરંતુ ખાનગી શાળાઓ કોર્ટનું અપમાન કરતા સુપ્રીમ કોર્ટના આદેશની પણ અવગણના કરી છે.
જો વાત કરવામાં આવે અમદાવાદ ઝોનની એવી શાળાઓની જેમણે પોતાની દરખાસ્ત રજુ નથી કરી તો કોર્ટના આદેશ સમયથી અમદાવાદ ઝોનની 160 જેટલી સ્કૂલની દરખાસ્ત અને એફીડેફીટ બાકી હતી, જેમાંથી અંતિમ તારીખ સુધી 91 શાળોએ પોતાની દરખાસ્ત અને 45 શાળાઓએ એફિડેવિટ રજુ કરી છે.
વધુમાં છેલ્લી ઘડીએ જાગેલી યુરો સ્કૂલે 1લી તારીખે પોતાની દરખાસ્ત રજુ કરી છે. આમ અમદાવાદ શહેરની 12, પાટણની 8 અને સાબરકાંઠાની 2 શાળાની દરખાસ્તો હજુ સંચાલકોના મનમાં જ વહી રહી છે. આ તમામ દરખાસ્ત અને એફિડેવિટ કરનારી શાળાઓને કમિટી તરફથી બીજી તક ન મળવાથી કમિટી જાતે જ રિપોર્ટ તૈયાર કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે.