સુરતના નાનપુરામાં માત્ર 400 રૂપિયા માટે એક મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. 400 રૂપિયા માટે કરવામાં આવેલ હત્યા સીસીટીવીમાં કેદ થઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની અટકાયત કરી છે.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ ગઈ કાલે 12 માર્ચના રોજ નાનપુરાના મક્કાઈપુલ વિસ્તારમાં આવેલ એક નાટ્યગૃહ પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો. યુવાન લોહીલુહાણ હાલતમાં જોવા મળતા તેની હત્યા થઈ હોવાની આશંકા હતી. યુવાનનો મૃતદેહ મળતા પોલીસ ઘટના સ્થળ પર પંહોચી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી. અઠવાલાઈન્સ પોલીસે યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં સામે આવ્યું કે યુવાનને બેરહેમી રીતે માર મારવામાં આવ્યો છે. યુવાનને માથામાં ઈજા થવાથી તેનું મોત થયું છે. હત્યાની થિયરી પર પોલીસે કામગીરી કરતાં તપાસ હાથ ધરી.
પોલીસે યુવાનની હત્યા થઈ હતી તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરતા મોટો ઘટસ્ફોટ થયો. સીસીટીવી ફૂટેજમાં પોલીસે જોયું કે 11 માર્ચની સાંજે 6.36 કલાકે મૃતક યુવક ફૂટપાથ પર બેઠો હોય છે ત્યારે અન્ય એક યુવાન આવી તેની સાથે ઝઘડો કરવા લાગે છે. યુવાન સાથે આ વ્યક્તિ પહેલા માથાકૂટ કરે છે અને પછી તેને ગડદાપાટુનો માર મારે છે. અને આ જ સીસીટીવીમાં ફૂટેજના આધારે પોલીસે યુવાનની હત્યાના આરોપમાં તેના મિત્રને અટકાયતમાં લીધો છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ મિત્રની હત્યા કરી હોવાની કબૂલાત કરી. આરોપીએ કહ્યું કે બંને ઓડિશાના રહેવાસી છે. આરોપીનું નામ રામકિશોર છે જેણે 400 રૂપિયાની લેતીદેતી મામલે પોતાના જ મિત્ર ભુરીયાની હત્યા કરી. પોલીસે ફૂટપાથ પર રહેતા લોકોના નિવેદનનો અને સીસીટીવી ફૂટેજના આધારે રામકિશોર પ્રધાનની તેના મિત્રની હત્યા કરવા મામલે અટકાયતમાં લેતા હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી.
આ પણ વાંચો:આરોઠે પિતા – પુત્રના છેતરપિંડી કેસમાં SOG નો નવો ખુલાસો, સ્વામિનારાયણ મંદિરના કર્યા હતા….
આ પણ વાંચો:એવું તો શું થયું કે, ગુજરાત હાઈકોર્ટે રેલવેને લગાવી ફટકાર, કહ્યું- સહન નહીં કરી શકીએ…