Amreli News : અમરેલી જિલ્લાના વડીયા (Vadiya) પંથકમાં રખડતા અને હિંસક બની ગયેલા શ્વાનોનો આતંક (Dog Terror) દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા 20 દિવસ દરમિયાન શ્વાનોએ ચાર જેટલા બાળકો પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં બે બાળકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે. સતત બની રહેલી આ દુઃખદ ઘટનાઓને કારણે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ છવાઈ ગયો છે.

તાજી ઘટનામાં વડીયા તાલુકાના એક ગામમાં 7 વર્ષના બાળક પર શ્વાનોના ટોળાએ જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ બનેલા બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. આ ઘટનાએ ગ્રામજનોને હચમચાવી દીધા છે.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં રખડતા શ્વાનોની સંખ્યા સતત વધી રહી છે. નાના બાળકો શાળા જવા કે બહાર રમવા નીકળે ત્યારે માતા-પિતામાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામલોકોનું કહેવું છે કે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં શ્વાનોના આતંક સામે અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
આ ઘટનાના પગલે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો દ્વારા તાત્કાલિક શ્વાનોને પકડવાની કામગીરી હાથ ધરવા તેમજ બાળકોની સુરક્ષા માટે કડક પગલાં ભરવાની માંગ ઉઠી છે. સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગો હવે આ મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
વડીયા પંથકમાં સતત વધી રહેલા શ્વાન હુમલાના બનાવોએ ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા પ્રાણીઓની સમસ્યાને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધી છે. ગ્રામજનો હવે આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે તાત્કાલિક અને અસરકારક ઉકેલની માંગ કરી રહ્યા છે.
