—————————————–—————————————————————–
@કામેશ ચોકસી,મંતવ્ય ન્યૂઝ,અમદાવાદ
મહુવામાં મંજૂરી વગર ધો.1-8નાં વર્ગો શરૂ
ગુજરાત સરકારનાં શિક્ષણ વિભાગની ગાઇડલાઇનની ઐસી કી તૈસી…!.જી હા,આવો જ એક બનાવ ભાવનગરનાં મહુવામાં સામે આવતા તંત્ર સાબદું થઇ ગયુ છે.મહુવા નગરપાલિકાની 16 શાળા આવેલી છે.તે પૈકી શાળાનં.8માં ધોરણ-1 થી 8નાં વર્ગો શરૂ કરી દેવાતા વિવાદ સામે આવ્યો છે. છેલ્લાં ત્રણ દિવસથી શાળામાં ધોરણ 1 થી 8નાં વર્ગો શરૂ કરી દેવાયા છે.બાળકો પણ ભણવા આવી રહ્યાં છે જેને લઇને નવો વિવાદ સામે આવ્યો છે. નવાઇની વાત એ પણ સામે આવી હતી કે શાળા નં.5માં ધોરણ-1 થી 8નાં અંદાજીત 20 થી 25 વિદ્યાર્થીઓને ભણાવાતા હોવાનો ઘટસ્ફોટ પણ સામે આવ્યો હતો.
——————————————
શાળાનાં આચાર્યએ આરોપને નકાર્યા
મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા મહુવા ન.પા.શાળા નં.8નાં આચાર્યનો સંપર્ક કરાયો ત્યારે આચાર્યએ તમામ આરોપને નકાર્યા હતા.આચાર્યએ જણાવ્યું કે નાનાં વર્ગમાં ત્રણથી ચાર બાળકોને જ એક કલાસમાં બેસાડાતા હોવાની વાત જણાવી હતી.અન્ય શાળાની તપાસ કરતાં ચોંકાવનારી હકીકત એ સામે આવી હતી કે મહુવામાં એક કે બે નહીં પણ અંદાજીત 16 શાળાઓ આવેલી છે તેમાંથી કેટલીક શાળાઓએ સરકારની મંજૂરી વગર ધો.1 થી 8નાં વર્ગો શરૂ કરી દીધા હતા.જો કે મીડિયાએ સંપર્ક કરતાં ઢાંકપિછોળો કરવાનો પ્રયાસ કરાયો હતો.
સરકારી ગાઇડલાઇનનું ઉલ્લંઘન
મહુવામાં શાળા શરૂ કરી ધોરણ 1 થી 8નાં વર્ગો શરૂ કરી દેવાતા સરકારની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળ્યું હતું છતાં સ્થાનિક પ્રશાસન તરફથી આંખ આડા કાન કરવામાં આવ્યા હોય તેવા અહેવાલ પણ સામે આવ્યા હતા.શાસનાધિકારીએ જાણે આંખ આડા કાન કરી અનૌપચારિક રીતે મંજૂરી આપી હોય તેમ શાળાઓ ખુલતા નાનાં બાળકોને ભણાવવાની કામગીરી શરૂ કરાઇ હતી.
આવી રીતે ભણશે ગુજરાત…?
સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે ગુજરાતમાં કેમ સરકારની માર્ગદર્શિકાનું પાલન નથી થતું.અગાઉ રાજ્યનાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ધોરણ-9 થી 11નાં વર્ગો શરૂ કરવાની મંજૂરી અપાયા બાદ રાજ્યમાં 1લી ફેબ્રુઆરીથી ધોરણ 9-11નાં વર્ગો કોવિડ ગાઇડલાઇન સાથે શરૂ કરાયા છે ત્યારે વગર મંજૂરીએ મહુવાની ન.પા.ની શાળા નં.8 સહિત અન્ય શાળામાં ધોરણ-1 થી 8નાં વર્ગો શરૂ કરી દેવાતા અનેક સવાલ પેદા થાય છે.મંતવ્ય ન્યૂઝ દ્વારા ઘટનાનાં સત્ય સુધી પહોંચવાનો પ્રયાસ કરાયો.અન્ય શાળામાં જયારે ચેકિંગ કરાયું ત્યારે શાળામાં કેટલાંક વિદ્યાર્થીઓને વર્ગમાં સફાઇ કરાવાતી હોવાની વાત સામે આવી.બીજી બાજુ નાના બાળકોને ભણાવવાનાં દ્રશ્યો પણ નજર સામે આવ્યા.મંતવ્ય ન્યૂઝનાં અહેવાલ બાદ અન્ય કેટલીક શાળાનાં સંચાલકોએ શાળા બંધ કરવાની ઔપચારિકતા કરી.જો કે સવાલ એ પેદા થાય છે કે સરકારની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનારા બેજવાબદાર તત્વો સામે કયારે કાર્યવાહી કરાશે? તે આગામી સમય જ જણાવશે.