અમદાવાદના વટવા જીઆઇડીસી વિસ્તારના ફેઝ-3માં આગ લાગવાનો બનાવ બન્યો છે. આ ભયાનક આગ એક પ્રિન્ટીંગ કંપનીમાં લાગી છે. હાલ ફાયર ફાઇટરની 45થી વધુ ગાડીઓ ઘટના સ્થળે રવાના થઇ છે. આગના પગલે ફાયર વિભાગે બ્રિગેડ કોલ જાહેર કર્યો છે. આગના પરિણામે ફેકટરીમાં ચારેબાજુ ધુમાડો ફેલાઇ જતાં વાતાવરણ ધૂંધળુ બન્યું હતું. પ્રારંભિક જાણકારી અનુસાર એક બ્લાસ્ટ બાદ ફેકટરીમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડના જણાવ્યા અનુસાર આગ એટલી ભયાનક છે કે તેને બુઝાવવામાં હજુ સમય લાગી શકે છે. આગની આ ઘટનામાં કોઇ જાનહાની થયાના સમાચાર નથી. આગ લાગવાના પરિણામે ફેકટરીમાં રહેલા કેમિકલના કેરબાઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા જ્યારે પણ આગ અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરે અથવા તેવી દહેશત જણાય એટલે બ્રિગેડ કોલ જાહેર કરે છે. બ્રિગેડ કોલ જાહેર કરવાની સત્તા માત્ર જે-તે વિભાગના ચીફ ફાયર ઓફિસરની હોય છે. બ્રિગેડ કોલ આપવાનો મતલબ એવો થયો કે જે-તે વિભાગના તમામ ફાયર ફાઈટર્સ અને ફાયરમેન જે સ્થળે આગ લાગી હોય ત્યાં પહોંચી જવાનો હુકમ કરાય છે. માત્ર આટલું જ નહીં આ દરમિયાન જ્યાં આગ લાગી હોય ત્યાં સરકારી કે મ્યુનિ.ના તમામ ફાયર ફાઈટર્સ ઉપરાંત કોઈ પણ ખાનગી એકમ પાસે પોતાના ફાયર ફાઈટર્સ હોય તો તેમને પણ બ્રિગેડ કોલની સ્થિતિમાં આગ લાગી હોય ત્યાં તાત્કાલિક પહોંચી જવા આદેશ કરાય છે.