દેશમાં હાલના દિવસોમાં બુલડોઝર ખૂબ ચર્ચામાં છે. યુપી થઈને હવે આખા દેશમાં ગર્જના થઈ રહી છે. જે રાજ્યોમાં ભાજપની સરકાર છે ત્યાં તેની ભારે ચર્ચા છે. દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાં ગેરકાયદેસર અતિક્રમણ પર MCDનું બુલડોઝર શરૂ થતાં જ ચર્ચાનો વિષય બન્યો છે. આ સાથે જ ભારત આવેલા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન પણ બુલડોઝરના ચાહક બની ગયા છે.
ભારત આવ્યા બાદ બોરિસ જોન્સન પણ બુલડોઝરના ચાહક બની ગયા છે. બોરીસ આજે ગુજરાતમાં છે. તેમણે ત્યાં જેસીબીની નવી ફેક્ટરીનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્લાન્ટ હાલોલ, વડોદરામાં આવેલો છે. અગાઉ જોન્સન ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને પણ મળ્યા હતા. આ એકમ બ્રિટિશ મૂળની કંપની જેસીબીનું છે, જે બુલડોઝર સહિત અન્ય બાંધકામ સાધનોનું ઉત્પાદન કરે છે. તો ભારતમાં JCBનો આ છઠ્ઠો પ્લાન્ટ છે. આ પ્લાન્ટ બનાવવા માટે લગભગ 650 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
દેશમાં અત્યારે બુલડોઝરને લઈને ભારે હોબાળો થઈ રહ્યો છે. ગઈકાલે (બુધવાર) જહાંગીરપુરીમાં બુલડોઝરની કાર્યવાહી પર વકીલોની લાંબી ફોજ સુપ્રીમ કોર્ટ પર ઉતરી આવી હતી અને બુલડોઝરની કાર્યવાહી અટકાવી દેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં આજે પણ આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે હવે જહાંગીરપુરીમાં બુલડોઝરની કાર્યવાહી પર સ્ટે મૂકી દીધો છે. સાથે જ સમગ્ર દેશમાં પ્રતિબંધ લગાવવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દેવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે જહાંગીરપુરીમાં બુલડોઝરની કાર્યવાહી પર ઓછામાં ઓછા બે અઠવાડિયાનો સ્ટે મુક્યો છે. કોર્ટે NDMC અને દિલ્હી પોલીસને પણ નોટિસ પાઠવી છે. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે સરકારને ગુરુવારે યથાસ્થિતિ જાળવી રાખવા અને એફિડેવિટ દાખલ કરવા જણાવ્યું છે. આ મામલાની આગામી સુનાવણી બે સપ્તાહ બાદ હાથ ધરવામાં આવશે. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કોર્ટમાં દલીલ કરી હતી કે અતિક્રમણના નામે એક ખાસ સમુદાયને નિશાન બનાવવામાં આવી રહ્યો છે.
યુપીમાં બુલડોઝરની અપાર સફળતા બાદ ભાજપ શાસિત રાજ્યોમાં બુલડોઝર ટ્રેડ માર્ક બની ગયું છે. બુલડોઝર સામે આવતા જ માફિયાઓ અને ગુનેગારોની હવા તંગ થઈ જાય છે. યુપીમાં ઘણી જગ્યાએ એવું જોવા મળ્યું કે બુલડોઝરના ડરથી ગુનેગારો પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને આત્મસમર્પણ કર્યું. તો રામનવમી પર એમપી અને ગુજરાતમાં રમખાણોના આરોપીઓની સંપત્તિ પણ બુલડોઝ કરવામાં આવી હતી. યુપીમાં બુલડોઝરનો એટલો ડર છે કે અસામાજિક તત્વો ઘરની બહાર પણ નીકળતા નથી.