યુક્રેનના યુદ્વ બાદ ભારત કેન્દ્ર સ્થાને આવી ગયું છે, અનેક દેશોના વડાપ્રધાન અને રાષ્ટ્રપતિ સહિત વિદેશ મંત્રીઓ ભારતના પ્રવાસે આવી રહ્યા છે, આ સમય દરમિયાન બ્રિટનના વડાપ્રધાન પણ ભારત આવી રહ્યા છે, અને ગુજરાતની પણ મુલાકાત લેવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી બોરિસ જોનસન આગામી 20થી 24 એપ્રિલ દરમિયાન ભારતના પ્રવાસે આવવાના છે. માહિતી મળી રહી છે કે યુકેના પ્રધાનમંત્રી ભારતની ચાર દિવસીય મુલાકાત દરમિયાન 21 એપ્રિલે ગુજરાત આવી શકે છે. મહત્વનું છે કે આ પહેલાં પણ બોરિસ જોનસનનો ભારત આવવાનો કાર્યક્રમ બન્યો હતો, પરંતુ કોરોનાને કારણે બે વખત તેમનો ભારતનો પ્રવાસ સ્થગિત રહ્યો હતો.
હવે યુકેના પ્રધાનમંત્રી 20 એપ્રિલથી ભારતના પ્રવાસે આવશે. આ દરમિયાન તેઓ 21 એપ્રિલે ગુજરાતની મુલાકાત લઈ શકે છે. યુકેના પ્રધાનમંત્રી બોરિસ જોનસન ગુજરાતમાં અમદાવાદ આવી શકે છે અને સાબરમતી આશ્રમની મુલાકાત લઈ શકે છે. તો વડોદરામાં કન્સ્ટ્રક્શન સાધનો બનાવતી બ્રિટિશ કંપની જેસીબીના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની મુલાકાત પણ લઈ શકે છે.
કોરોનાને લીધે બોરિસ જોનસનનો ભારતના પ્રવાસનો કાર્યક્રમ બે વખત સ્થગિત કરવામાં આવ્યો હતો. તો થોડા દિવસ પહેલાં બ્રિટનના ફોરેન સેક્રેટરી દિલ્હી આવ્યા હતા. આ દરમિયાન તેમણે વિદેશમંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં બોરિસ જોનસનના ભારતના પ્રવાસને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી.