‘આપ’ની એન્ટ્રીએ ભાજપ-કોંગ્રેસની ઉંઘ ઉડાડી પણ લોકોના દિલ સુધી પહોંચવા ઘણો પુરૂષાર્થ કરવો પડશે. લોકો ઈચ્છે છે તેવો ભાજપનો વિકલ્પ આમ આદમી પાર્ટી બને તે જરૂરી પણ લોકો સાથ આપશે ખરા ?
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
તાજેતરમાં યોજાઈ ગયેલી સ્થાનિક ચૂંટણીઓ સમયે ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ સુરત મહાનગરપાલિકામાં એક બે નહીં પણ ૨૭ બેઠકો જીતી, જિલ્લા પંચાયતોમાં પણ બે બેઠક પર વિજય મેળવ્યો, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓમાં સામાન્ય દેખાવ હતો. આ પહેલા ૨૦૧૪, ૨૦૧૬ કે ૨૦૧૭ અને ૨૦૧૯માં જે પણ સ્તરની ચૂંટણી લડાઈ તેમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કોઈ નોંધપાત્ર કહી શકાય તેવી બેઠકો મળી નથી. સુરત મહાપાલિકાના પરિણામ પહેલા અને રાજકોટ, અમદાવાદ સહિત ૩ મહાનગરોમાં આમ આદમી પાર્ટીએ જે મત મેળવ્યા તેના કારણે ગ્રામ્ય અને નગર સ્તરની ચૂંટણીમાં કેન્દ્ર અને રાજ્યના સત્તાધારી પક્ષ ભાજપને પોતાનો વ્યૂહ ફેરવવો પડ્યો હતો. ત્યારબાદ ‘આપ’ના ચૂંટાયેલા સભ્યોએ અને પક્ષે કોરોના અને તાઉ-તે વાવાઝોડા વચ્ચે જે કામગીરી કરી સૂરતમાં ચૂંટાયેલા કોર્પોરેટરો પોતાને હોદ્દાની રૂએ મળતી ગ્રાંટ પણ પોતાના વોર્ડના મતદારોની સલાહ-સૂચન મુજબના વિકાસ કામ માટે ઉપયોગ કરવાનું નક્કી કર્યું. હવે ગુજરાતના મહત્ત્વના મથક અમદાવાદમાં કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની હાજરીમાં ‘વી ટીવી’ની મહામંથન ચેનલ પર લોકોના પ્રશ્નો અંગે ધારદાર ડીબેટનું સંચાલન કરી લોકપ્રિય બનેલા ઈશુદાન ગઢવીએ પોતાની પત્રકારિત્વની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકી ‘આપ’નું ઝાડું પકડી રાજકારણની ગંદગી સાફ કરવાનો નિર્ધાર કર્યો. કેજરીવાલના આગમનના બે દિવસ પહેલા ખોડલધામના વડા નરેશભાઈ પટેલ આમ આદમી પાર્ટીની કાર્યશૈલીના વખાણ કરી ચૂક્યા હતાં. આ બધા ઘટનાક્રમ વચ્ચે સોમવારે અમદાવાદ ખાતે એવી જાહેરાત કરી કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો (૧૮૨) પર ચૂંટણી લડશે.
ગુજરાતમાં ૨૭ વર્ષથી ભાજપનું અને તે પહેલા કોંગ્રેસનું શાસન હતું. કેજરીવાલના કહેવા પ્રમાણે બન્ને પક્ષો એક જ થાળીમાં જમે છે. ભાજપ-કોંગ્રેસ એક જ છે અને ભાજપને જ્યારે જરૂર પડી ત્યારે કોંગ્રેસે માલ સપ્લાય કર્યો છે. ભાજપ ગુજરાતમાં શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે નિષ્ફળ ગયું હોવાની વાત કરી. ટૂંકમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં ત્રીજા મોરચા તરીકે મેદાનમાં ઉતરશે તે નક્કી છે. ત્યારથી ટીવી ચેનલો પર અને ભાજપ કોંગ્રેસના ટેકાદોરો દ્વારા એવો પ્રચાર શરૂ થઈ ગયો છે કે ગુજરાતમાં સ્વ. ચીમનભાઈ પટેલ, ગોરધન ઝડફીયા, સ્વ. કેશુબાપા, શંકરસિંહ વાઘેલા એ તમામે ત્રીજા પક્ષ તરીકે મેદાનમાં ઉતરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ફાવ્યા નથી તે હકિકત છે. ખરો જંગ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જ રહ્યો છે અને ૧૯૯૫ થી ભાજપ જ સત્તા પર છે. છેલ્લી સ્થાનિક ચૂંટણીમાં તો ભાજપે ક્લીનસ્વીપ જેવો વિજય મેળવીને કોંગ્રેસના અસ્તિત્વ પર ખતરો ઉભો કરી દીધો છે.
જાેકે પહેલા નથી ચાલ્યો માટે હવે નહિ ચાલે તે દલીલ યોગ્ય નથી. ઈતિહાસ પણ ઘણીવાર ફરતો હોય છે. એકના એક ઈતિહાસનું વારંવાર પુનરાવર્તન થતું નથી. ગુજરાતના રાજકારણ અને છેલ્લી બે-ત્રણ ચૂંટણીના પરિણામો પર નજર નાખશો તો જણાશે કે ભાજપ સામે લોકોમાં આક્રોશ દેખાય જ છે પણ કોંગ્રેસ લોકોના પ્રશ્નોને યોગ્ય રીતે વાચા આપવામાં નિષ્ફળ જાય છે. તેના કારણે યોગ્ય વિકલ્પા અભાવે લોકો મજબૂરીથી ભાજપને મત આપે છે. બીજું કોંગ્રેસની ટાંટિયાખેચ પરાજયની પરંપરા પછી પણ અટકી નથી. ગુજરાતમાં પ્રદેશ કોંગ્રેસનું માળખું વ્યવસ્થિત નથી. પ્રદેશ પ્રમુખના નામોની ચર્ચા થાય છે. પણ નામ નક્કી થતું નથી. જાે કે જે પક્ષનું રાષ્ટ્રીય માળખું ઈનચાર્જના હવાલે હોય પછી તેની પાસે બીજી કઈ આશા રાખી શકાય ?
ગુજરાતમાં આમ આદમી પાર્ટી માટે લોકોમાં સારી અપેક્ષા જાગી છે. પૂર્ણ કક્ષાની સત્તા ન હોવા છતાં અને કેટલાક વિવેચકો કહે છે તે પ્રમાણે લેફ્ટનન્ટ ગવર્નરના માધ્યમથી કેન્દ્ર સતત સારા કામો અટકાવતું હોવા છતાં કેજરીવાલ સરકાર કામ કરે જ છે. સારૂ કામ કરે છે, પરંતુ કેજરીવાલે અમદાવાદમાં કહ્યું તે પ્રમાણે દિલ્હી મોડલ ગુજરાતમાં ન ચાલે પણ જનતાના મનની વાત સાંભળી ગુજરાતમાં ગુજરાત મોડલ ઉભું કરવું છે. જાે અમલીકરણ થાય તો વાત સાચી છે. શિક્ષણ અને આરોગ્ય મોરચે દિલ્હીમાં જે પગલાં ભરાયા તેવા ભરાય તો લોકો માટે હિતકારી જ પૂરવાર થઈ શકે તેમ છે.
આમ આદમી પાર્ટીને ભાજપ કોંગ્રેસની ‘બી’ ટીમ કહે છે તો કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કહે છે તો ‘આપ’ના નેતાઓ કહે છે કે અમે જનતાની ટીમ છીએ.
ટીવી ડીબેટમાં ભાજપના એક પ્રવક્તાએ એવો આક્ષેપ કર્યો કે અરવિંદ કેજરીવાલે પોતાના ગુરૂ અણ્ણા હજારેને હાંસિયામાં ધકેલી દીધા છે તો તેના જવાબમાં ‘આપ’ના પ્રવક્તાએ જ જવાબ આપ્યો કે નરેન્દ્રભાઈએ પોતાના ગુરૂ એલ.કે. અડવાણી, મુરલી મનોહર જાેશી જેવા આગેવાનોને હાંસિયામાં નથી ધકેલી દીધા ? આ વાત પણ સાચી છે. અણ્ણા હજારે તો રાજકારણથી દૂર જ રહેવા માગતા હતા અને માગે છે પણ આ મહાનુભાવો તો ભાજપના પાયાના પથ્થર છે. છતાંય કોરાણે મૂકી દેવાયા છે.
આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં સ્થિર થવું હશે તો માત્ર કોંગ્રેસના નહિ પણ ભાજપના મજબૂત વિકલ્પ તરીકેની છાપ ઉભી કરવી પડશે. લોકોની વેદનાને વાચા આપીને જે સ્થાન દિલ્હીની પ્રજામાં ઉભું કર્યું છે તેવું સ્થાન ગુજરાતમાં પણ મેળવવું પડશે. માત્ર કોંગ્રેસને હરાવીને કોંગ્રેસના મતો તોડી ભાજપને ફાયદો કરાવ્યાનો જે આક્ષેપ સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ અને કેટલાક વિવેચકો દ્વારા થયો છે. તેનો પણ યોગ્ય જવાબ આપવો પડશે. ગુજરાતમાં વિપક્ષની ભૂમિકા કોંગ્રેસ યોગ્ય રીતે નિભાવી શકી નથી. નેતાઓ અને કાર્યકરો પોતાના દેખાવ અંગે તો હતાશ છે જ પણ પેટ્રોલ-ડિઝલના ભાવવધારા જેવા લોકોને સીધી રીતે સ્પર્શતા પ્રશ્નો અંગે પણ ભૂતકાળમાં ભાજપ કેન્દ્રમાં વિપક્ષે હતો ત્યારે જે યોગ્ય લડત આપી હતી તેવી લડત આપી શક્યો નથી.
કેજરીવાલે ગુજરાતમાં ‘આપ’ને મજબૂત કરવાની વાત કરી પરંતુ પેટ્રોલ-ડિઝલના ભાવધારા ઉપરાંત મોંઘવારી બેરોજગારી સહિતના લોકોને સ્પર્શતા પ્રશ્નોનો કેમ ઉલ્લેખ ન કર્યો તે બાબત પણ લોકોમાં ચર્ચાનો વિષય છે. ભાજપ સત્તાધારી પક્ષ તરીકે આ વાત ન કહી શકે. કોંગ્રેસ યોગ્ય રીતે અવાજ ઉઠાવવામાં નિષ્ફળ ગઈ છે. તેવે સમયે ગુજરાતની છ કરોડની પૈકી જેમને મોંઘવારી નડે છે. તેવા લોકો ‘આપ’ પાસે આ અપેક્ષા રાખે છે. ‘આપ યહાં આયે કીસ લીએ’ નહીં પણ ‘આપ આયે બહાર આઈ’ જેવું વાતાવરણ પક્ષે સર્જવું પડશે.