રાજયમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને અનુલક્ષીને ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સિવિલ મેડિસીટીની કિડની હોસ્પિટલ દ્વારા નવતર સુવિધા હાથ ધરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે “મોબાઇલ ડાયાલિસિસ વાન” સેવા શરૂ કરવામાં આવી છે.
મોબાઇલ ડાયાલિસિસ વાનની સુવિધા અમદાવાદની સાથે સાથે રાજ્યભરની અન્ય હોસ્પિટલોમાં દાખલ થનારા અને ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા કોવિડ પોઝિટિવ દર્દીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
આ ‘મોબાઇલ ડાયાલિસિસ વાન’માં ડાયાલિસિસ યુનિટ, પોર્ટેબલ આર.ઓ. બુસ્ટર વોટર સિસ્ટમ, મલ્ટિ-પેરા મોનિટર, ડેફિબ્રિલેટોર, કન્સ્યુમબલ્સની આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. જેમાં ડાયાલિસિસ ઉપકરણોના ૨ સેટ મૂકવામાં આવશે.
આ અંગે અમદાવાદ સિવિલ મેડિસીટીમાં આવેલી કિડની ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર ડૉ. વિનીત મિશ્રાએ જણાવ્યુ છે કે, કોવિડ હોસ્પિટલોમાં કોરોના પોઝિટિવ ડાયાલાલિસની જરૂરિયાત ધરાવતા દર્દીઓમાં વધારો થવાથી ડાયાલિસિસ સેન્ટર અને ત્યાંથી પાછા હોસ્પિટલમાં પરત જવાની મુશ્કેલીઓને રોકવા માટે ઘરઆંગણે દર્દીઓ અને હોસ્પિટલોને મદદ કરવા માટે નિઃશુલ્ક મોબાઇલ ડાયાલિસિસ વાન (Mobile Dialysis Van) સેવા શરૂ કરવામાં આવી છે. જે ડાયાલિસીસની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે કારગર નિવડશે તેમ તેમણે ઉમેર્યુ હતુ.
નોધનીય છે કે, ગુજરાત ડાયાલિસિસ પ્રોગ્રામ (જીડીપી) અંતર્ગત રાજ્યભરમાં આઈકેડીઆરસી દ્વારા સંચાલિત ડાયાલિસિસ કેન્દ્રો પર દર મહિને આશરે ૫૦૦ કોવિડ દર્દીઓ ડાયાલિસિસ સેવાનો લાભ મેળવી રહ્યા છે.