Gujarat election 2022ને લઈને પ્રથમ તબક્કાનો પ્રચાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે જૈનોના તીર્થધામ પાલીતાણામાં વડાપ્રધાન મોદીએ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસનો હાથ ગુજરાત વિરોધીને સાથ છે. તેમણે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાયેલા નર્મદા વિરોધી મેધા પાટકરના સંદર્ભમાં આ વાત કહી હતી. તેમણે જણાવ્યું હતું કે આ દર્શાવે છે કે કોંગ્રેસનું વલણ કેવું ગુજરાત અને વિકાસ વિરોધી છે. તેને ગુજરાતની પ્રજાની, તેની તરસની, તેની ખેતીની ચિંતા જ નથી.
એક સમય હતો જ્યારે ગુજરાત પાણી વગર ટળવળતુ હતુ. ગુજરાતના લોકોને નોકરી માટે બહાર જવું પડતું હતું, કારોબાર માટે બહાર જવું પડતું હતું. આજે પરિસ્થિતિ તેનાથી એકદમ વિપરીત છે. ફક્ત ભારતમાંથી નહી વિદેશમાંથી પણ લોકો ગુજરાતમાં રોકાણ કરવા માટે તલપાપડ છે. હવે આ ગુજરાતને વિકાસના આગામી શિખરે લઈ જવું હોય તો તેના માટે કમળને મત આપવો જરૂરી છે.
તેમણે જણાવ્યું હતું કે વિશ્વનું સૌથી પહેલું સીએનજી ટર્મિનલ ભાવનગર બનવા જઈ રહ્યુ છે. તેના લીધે હજારો યુવાનોને રોજગારી મળશે. ગુજરાતમાં મેં 24 કલાક વીજળીની વાત કરી હતી તે કોંગ્રેસને મજાકમાં લાગતી હતી. આજે ગુજરાતમાં તો ચોવીસ કલાક વીજળી છે, પરંતુ હવે આગામી સમયમાં સમગ્ર દેશમાં 24 કલાકમાં વીજળી મળતી હશે.
ખેડૂતોને વીજળી જોઈએ છે, પરંતુ તેનું બિલ મોંઘુ પડે છે. તે વાતથી સરકાર વાકેફ છે. તેથી જ તો સોલર પેનલ લાવ્યા છીએ. દરેક ખેડૂત તેનો ઉપયોગ કરીને ખેતીમાં વીજળીનો ઉપયોગ કરવાની સાથે આ વીજળી વેચી પણ શકશે. ગુજરાતમાં નર્મદા યોજનાના પાણી આજે ક્યાં-ક્યાં પહોંચ્યા તે આપણે જાણીએ છીએ. ખેડૂતોને સિંચાઈમાં તો રાહત થઈ છે, પરંતુ તે ગુજરાતના મોટા હિસ્સાની તરસ પણ છીપાવી રહ્યા છે. ગુજરાતમાં આજે બધા શહેર અને ગામડામાં ઘેર-ઘેર નળથી પાણી મળે છે.
આ પણ વાંચોઃ