ખેડૂત રેલીમાં આવતા તાલુકા મથકના હોદ્દેદારોના વાહનોને અધ્ધવચ્ચેથી અટકાવવામાં આવ્યા છે. એટલું જ નહીં મોડીરાત્રે આગેવાનોના ઘરે જઇને પોલીસે ધાકધમકી આપતા ખળભળાટ મચી ગયો છે. આમ છતા પણ આજે સવારે રાજકોટમાં પાક વીમાના પ્રશ્ર્ને મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડયા હતા. મંજુરી વગર રેલી કાઢવામાં આવતા કિસાન સંઘના નેતા અને પોલીસ સાથે ઘર્ષણ થયું છે. ખેડૂત રેલીમાં કાંકરીચાળો ન થાય તે માટે બહુમાળી ભવન ખાતે પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે અને વાતાવરણ તંગ બની જવા પામ્યું છે.
રાજકોટ કિસાન સંઘના પ્રમુખ દિલીપ સખીયાના જણાવ્યા મુજબ આજે સવારે 11 કલાકે રાજકોટના રેસકોર્ષ મેદાનથી કલેકટર કચેરી સુધી વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત આજ સવારથી રાજકોટ જીલ્લાના 11 તાલુકાના ખેડૂતો રેલીમાં ઉમટી પડયા છે ત્યારે રેલીને મંજુરી ન અપાતા પોલીસે રેલી પૂર્વે બળપ્રયોગ શરૂ કર્યો છે.
દિલીપ સખીયાએ એવો ધગધગતો આક્ષેપ કર્યો હતો કે પોલીસ રેલીને અટકાવવાનો પ્રયત્ન કરે છે. રેલીમાં આવતા તાલુકા મથકના આગેવાનોને અધવચ્ચેથી અટકાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત કેટલાક આગેવાનોને ઘરે જઇ પોલીસે મધ્યરાત્રીએ ધાકધમકી આપી હતી તેમજ કેટલાકને નજરકેદ પણ કરી દેવામાં આવ્યા હતા.
વધુમાં મળતી માહિતી મુજબ ઘેલા સોમનાથના કાળાભાઇ ઝાલા, જસદણ તાલુકા કિસાન સંઘના પ્રમુખ કાળુભાઇ ચાવડા, લોધિકાના ખેડૂત આગેવાન ધીરૂભાઇ વાડોદરીયા, રાજપરાના મુકેશભાઇ ગાજીપરાના ઘરે જઇને પોલીસે ગુન્હેગાર હોય તેવું વર્તન કરી રાત્રે જ નજરકેદ કરી દીધા હતા. ઓણસાલ અપુરતા પડેલા વરસાદને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં દુષ્કાળની પરીસ્થિતિનું નિર્માણ થયું છે