સસ્પેન્ડ કરાયેલા બીજેપી નેતા નુપુર શર્મા દ્વારા પયગંબર મુહમ્મદ પર કરવામાં આવેલી ટિપ્પણીના વિરોધમાં શુક્રવારે રાંચીમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન વાહનોને આગચંપી અને તોડફોડ કરવામાં આવી હતી. હાલ પરિસ્થિતિને જોતા રાંચીના શહેરી વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે. પથ્થરમારો અને લાઠીચાર્જમાં 2 ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. બેકાબૂ ભીડને કાબૂમાં લેવા આવેલા રાંચીના SSP સુરેન્દ્ર કુમાર ઝા પણ પથ્થરમારામાં ઘાયલ થયા છે, તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી
જણાવી દઈએ કે નુપુર શર્માના નિવેદનનો વિરોધ કરીને લોકો શુક્રવારની નમાજ પછી બેકાબૂ બની ગયા હતા. તેમને રોકવા માટે પોલીસે અનેક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું. આંદોલનકારીઓ પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. બપોરે 2 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સતત વિક્ષેપને કાબૂમાં લેવાના પ્રયાસો નિષ્ફળ જતાં જિલ્લા પ્રશાસને કર્ફ્યુ લાદી દીધો હતો. શહેરમાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે વધારાની પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. મેઈન રોડ, કરબલા ચોક અને દોરાંડા પર પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રેપિડ એક્શન ફોર્સ અને મોટી સંખ્યામાં પોલીસ જવાનોને બોલાવવામાં આવ્યા છે.
પરિસ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણમાં છે
રાંચીના ડીઆઈજી અનીશ ગુપ્તાએ કહ્યું કે, પરિસ્થિતિ થોડી તંગ છે પરંતુ નિયંત્રણમાં છે. અમે અમારી તરફથી તમામ પ્રયાસો કરી રહ્યા છીએ. ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર છે. અહીંથી ટોળું વિખેરાઈ ગયું છે.”
દેખાવકારોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો
હંગામાના કારણે બપોરથી જ મુખ્ય માર્ગ પરની લગભગ 3 કિમીની ત્રિજ્યામાં આવેલી તમામ દુકાનો બંધ થઈ ગઈ હતી. શહેરના ડોરાંડા વિસ્તારમાં પણ જોરદાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શુક્રવારે શહેરમાં મુસ્લિમ સમાજના લોકોએ નુપુર શર્મા અને નવીન જિંદાલની ધરપકડની માંગ સાથે દુકાનો બંધ રાખી હતી. સવારથી શહેરની રોજીંદી બજાર સંપૂર્ણ બંધ રહી હતી. 2 વાગ્યાની નમાઝ બાદ અચાનક જ હજારો લોકો સૂત્રોચ્ચાર કરતા મુખ્ય માર્ગ પર ઉતરી આવ્યા હતા. જ્યારે ભીડ મુખ્ય માર્ગ પર બેકાબૂ રીતે આગળ વધવા લાગી ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. જેના પર પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. રોડની બાજુમાં પાર્ક કરેલી અનેક બાઇક અને વાહનોની તોડફોડ કરવામાં આવી હતી. આ પછી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. તે પછી પણ સ્થિતિ કાબૂમાં ન આવી તો અનેક રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યું હતું.
શું છે સમગ્ર મામલો
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોપ છે કે નુપુર શર્માએ ગયા મહિને એક ન્યૂઝ ચેનલ પર ડિબેટ દરમિયાન ઈસ્લામ અને પ્રોફેટ મુહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી.
આ પણ વાંચો: કોલકાતામાં ગોળીબાર, મહિલાની હત્યા બાદ પોલીસકર્મીની આત્મહત્યા