કોંગ્રેસના સિનિયર અને કોડી સમાજના આગેવાન કુંવરજી બાવળિયાએ જસદણના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. થોડા દિવસ પહેલા કોંગ્રેસના નેતા કુંવરજી બાવળિયાની નારાજગી સામે આવી હતી. નિવેદનમાં કુંવરજી બાવળિયાએ એવું કહ્યું છે કે હુ્ં નારાજ છું. જો અવગણના થાય તો નારાજગી અનુભવાય તે સ્વાભાવિક છે. પક્ષ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કર્યા બાદ કોંગ્રેસના પીઢ નેતા તેમજ કોળી આગેવાન કુંવરજી બાવળિયાએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે.
મળતી માહિતી મુજબ કુંવરજી બાવળિયાની આજે ચાર વાગે શપથવિધિ થઇ શકે છે.પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કોંગ્રેસના પીઢ નેતા અને કોળી સમાજના અગ્રણી એવા કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાવાની વાત અંગે પણ ખુલાસો કર્યો હતો.
જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી પોતાની શક્તિમાં ઉમેરો કરવા માંગતી હોય છે. હાલ કોઇ વ્યક્તિ સાથે અમારે ચર્ચા નથી થઈ. પરંતુ કોઇપણને આવવું હોય તો ભારતીય જનતા પાર્ટીનું મન ખુલ્લું છે.
કોંગ્રેસથી નારાજ કુંવરજી બાવળિયાએ કોંગ્રેસ છોડવાનો નિર્ણય કરીને ભાજપનો ખેસ ધારણ કરવાનું નક્કી કરી લીધું. મંગળવારે કુંવરજી બાવળીયાએ સીએમ વિજય રૂપાણીના નિવાસ્થાને મિટિંગ યોજી હતી. તે પછી તેમણે સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામું આપ્યું હતું.
કોંગ્રેસના સિનિયર નેતા ગણતા કુંવરજી બાવળિયાએ રાજીનામું આપી દેતાં કોંગ્રસમાં રાજકીય હલચલ મચી ગઈ છે. થોડા દિવસ પહેલા ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ જ્યારે અમદાવાદ આવી પહોંચ્યા હતા ત્યારે કુંવરજી બાવળિયા તેમને મળવા માટે અમદાવાદ આવ્યા ન હતા. આ પહેલા તેઓ નવી દિલ્હી ખાતે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી ચુક્યા છે. હાલ કુંવરજી બાવળિયા કોઈ અજ્ઞાત સ્થળે છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે તેઓ વિધાનસભાના અધ્યક્ષને મળીને ધારાસભ્ય પદેથી પોતાનું રાજીનામું આપી શકે છે.