જેતપુર: જેતપુર તાલુકાના ગામોના ખેડૂતોને પાક વીમો હજુ સુધી મળી નથી. જેના કારણે સાતથી વધુ ગામોના 123 જેટલા ખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચીમકી આપી છે. સવાસો જેટલા ખેડૂતોની આ ચીમકીના પગલે પોલીસ દ્વારા આ ખેડૂતની અટકાયત કરવામાં આવી હતી. જેના પગલે 50થી વધુ ખેડૂતો પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના ખીરાસરા, દેરડી, અમરનગર, મેવાસા, રૂપાવટી, લુણાગરી, મોણપર, સહિતના વિવિધ ગામોના 123 જેટલા ખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ ખેડૂતોને તેમના પાક વીમાની રકમ મળી નથી. જેના કારણે તેઓએ આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે. ખેડૂતોને પાક વીમો આપવાના મામલે બેંકોમાંથી સહકાર ન મળતા ખેડૂતોએ પોલીસ મથકમાં પણ અરજી આપવામાં આવી હતી.
આ ચીમકી બાદ પોલીસ દ્વારા એક ખેડૂતની અટકાયત કરવામાં આવી હતી. જેના પગલે 50 થી વધારે ખેડૂતો જેતપુર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. જ્યાં પોલીસ સ્ટેશનના અધિકારીઓએ દ્વારા આ મામલે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે હાલ આ મામલો શાંત પડ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જેતપુર તાલુકાના ઉક્ત ગામોના ખેડૂતોને અંદાજીત દોઢ થી બે કરોડ જેટલી રકમનો વર્ષ 16-17 નો પાક વીમો SBI બેન્ક દ્વારા આપવામાં આવ્યો નથી. જેના પગલે થોડા સમય અગાઉ રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી જયેશ રાદડિયા દ્વારા સંબંધિત બેંકમાં જઈને બેન્કને તાળા બંધી કરવામાં આવી હતી.
રાજ્યના કેબિનેટ મંત્રીનાં તાળાબંધીના કાર્યક્રમ બાદ પણ બેન્ક દ્વારા મંજૂર થયેલ પાક વીમાની રકમ ચૂકવવામાં આવી નથી. જેના પગલે ખેડૂતો દ્વારા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. જેમાં ખેડૂતો દ્વારા આત્મવિલોપન કરવાની ચીમકી પણ આપવામાં આવી હતી.
આ ચીમકીના પોલીસ દ્વારા એક ખેડૂતની અટકાયત કરવામાં આવી હતી. જેને લઈને ગુસ્સે ભરાયેલ ખેડૂતો જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને પહોંચી ગયા હતા અને તેમની ધરપકડ કરવાની માગણી કરી હતી.