અમદાવાદ,
છેલ્લા એક મહિનાથી ગુજરાતનું ગૌરવ અને સાવજ કહેવાતા ગીરના સિંહોના મોતના મામલે દિન પ્રતિદિન નવા વળાંક આવી રહ્યા છે. જોવામાં આવે તો, એક મહિના જેટલા સમયમાં કુલ ૨૩ સિહોના મોત થઇ ચુક્યા છે.
સરકારની ખોટી વ્યવસ્થા અને નબળી દેખરેખ છે સિંહોના મોતનું કારણ : પટેલ
જયારે બીજી બાજુ ગીરના સિહોના થઇ રહેલા મોતના મામલે સરકાર દ્વારા પણ કોઈ સ્પષ્ટ કારણ દર્શાવવામાં આવી રહ્યું નથી, ત્યારે કોંગ્રેસના ખજાનચી અને રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે સિહોના મોતના મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.
રાજ્યમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓમાંના એક અહેમદ પટેલે પીએમ મોદીને પાઠવવામાં આવેલા પત્રમાં રાજ્ય સરકારની કાર્યવાહીને બેજવાબદાર ગણાવી છે.
તેઓએ પોતાના પત્રમાં રાજ્ય સરકાર પર આરોપ લગાવતા લખ્યું છે કે, “સિહોના મૃત્યુ માટેના કારણો રાતોરાત થયા નથી પરંતુ રાજ્ય સરકારની લાંબા સમયથી ખોટી વ્યવસ્થા અને નબળી દેખરેખનું આ પરિણામ છે”.
એક મહિનામાં થયા ૨૩ સિહોના મોત
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૬ સપ્ટેમ્બરથી અત્યારસુધીમાં કુલ ૨૩ સિંહોના મોત થઇ ચુક્યા છે. બીજી બાજુ સિંહોના મોતને મામલે અલગ- અલગ કારણો બહાર આવી રહ્યા છે.
એક બાજુ જ્યાં સિંહોને મોત પહેલા ઇનફાઇિટંગથી થયા હોવાનું સામે આવ્યું હતું, ત્યારબાદ આ મામલામાં વળાંક આવતા સિહના મોત પ્રોટોઝોઆ વાઈરસના કારણે થયા હોવાનું સાબિત થઇ રહ્યું છે.
જો કે ત્યારબાદ સિંહના મૃત્યુના કારણ માટે તમામ સિંહના જુદા જુદા સેમ્પલ પુણેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજી ખાતે મોકલાયા હતા તેમજ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી જૂનાગઢને પણ મોકલાયા હતા.
ગુજરાત હાઇકોર્ટે કરી લાલ આંખ
ટપોટપ 23 સિંહોના મૃત્યુ થતાં જૂનાગઢથી લઇ ગાંધીનગર સુધીનું તંત્ર દોડતું થઇ ગયું છે. ત્યારે આજે સિંહોના મામલે ગુજરાત હાઇકોર્ટે દ્વારા અવલોકન કરાયું છે. ગેરકાયદે લાયન શો અને સિંહોની પજવણી સામે ગુજરાત હાઇકોર્ટે લાલ આંખ કરી છે.
સિંહને અપાતા પોલ્ટ્રી ચિકનથી વાયરસ ફેલાવાની શકયતા વધુ છે. પોલ્ટ્રી ચિકનથી વાયરસ ફેલાવાની શકયતા નકારી શકાય નહીં.
સુપ્રીમ કોર્ટે પણ લગાવી ફટકાર
આ ઉપરાંત ગુજરાત રાજ્ય સરકારને સિંહોના મોત મામલે સુપ્રીમ કોર્ટે ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટ કહ્યું છે કે રાજ્ય સરકાર સિંહોના મોતનું કારણ શોધે, સિંહોના મોત એ ગંભીર બાબત છે.
મહત્વનું છે કે, છેલ્લે કરવામાં આવેલી સિંહની વસ્તી ગણતરી દરમિયાન કુલ ૫૨૩ સિંહ નોંધાયા હતા. તાજેતરમાં છેલ્લા બે દિવસ દરમિયાન કુલ ૬૦૦ સિંહ જોવા મળ્યા હતા, જેથી વધુ ૭૭ સિંહની વસ્તી જોવા મળી છે. અત્યાર સુધીનો સિંહનો આ વર્ષનો મૃત્યુઆંક ૪૪ છે. ૨૦૧૬-૧૭માં ૭૯ સિંહ મૃત્યુ પામ્યા હતા.