અમદાવાદ,
વર્ષ 2002થી 2006 દરમિયાન ગુજરાતમાં અલગ અલગ કુલ 17 જેટલા એન્કાઉન્ટર થયા હતા. ગુજરાત પોલીસ તેમજ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઇશરત જહાં, સાદિક જમાલ સહિતના ઘણા એન્કાઉન્ટરના બનાવો બન્યા હતા.
જેમાં સમીર ખાન પઠાણ, હાજી ઇસ્માઇલ અને કાસમ જાફરના નામનો પણ પોલીસ એન્કાઉન્ટરની યાદીમાં સમાવેશ થયો હતો. આ એન્કાઉન્ટર નકલી છે તેવા આક્ષેપો પીડિતો દ્વારા પોલીસ ઉપર લગાડવામાં આવ્યા હતા.
ત્યાર બાદ કુલ 17 માંથી ત્રણ એન્કાઉન્ટર એટલે કે, હાજી ઇસ્માઇલ, જાફર સાદિક અને સમીર ખાન પઠાણની તપાસ સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ બેદીની કમિટીને સોંપાઈ હતી.
જે મામલે જસ્ટિસ બેદીએ એવું રિપોર્ટમાં જણાવ્યું હતું કે, આ ત્રણેય એન્કાઉન્ટરના બનાવો તદ્દન ખોટા છે અને તે એન્કાઉન્ટરમાં સંડોવાયેલા આરોપીઓની સામે તાત્કાલિક ધોરણે ટ્રાયલ શરૂ કરવામાં આવે તેવી તેમની રજુઆત હતી. જેનાથી સમગ્ર દેશમાં તેની અત્યારે ભારે ચર્ચાઓ થઈ રહી છે અને રાજનીતિના માહોલમાં પણ ભારે ગરમાવો આવ્યો છે.