વિનય શાહે 11 પાનામાં કરેલા વિવિધ નિવેદનનોને વાહિયાત, પાયાવિહોણા અને બદનક્ષીભર્યા ગણાવી બે પત્રકારોએ ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ કરી છે. બદનક્ષીની ક્રિમિનલ ફરિયાદ કોર્ટે દાખલ કરી વધુ સુનાવણી 22મી નવે. પર મુલતવી રાખી છે. તે દિવસે બન્ને પત્રકારોના વેરિફિકેશન લેવાય તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે, વિનય શાહ સામે ક્રાઇમ બ્રાન્ચના જેસીપી જે.કે.ભટ્ટે પણ મેટ્રોકોર્ટમાં બદનક્ષની ફરિયાદ દાખલ કરી છે જેમાં આગામી દિવસોમાં સુનાવણી યોજાશે.
પત્રકારોએ વિનય બાબુલાલ શાહ સામે આઇપીસીની કલમ 500 મુજબ બદનક્ષીની ફરિયાદ એડવોકેટ સંજય ઠક્કર મારફતે દાખલ કરી છે. બદનક્ષની ફરિયાદમાં બન્ને પત્રકારોએ એવી રજૂઆત કરી છે કે, આરોપી વિનય શાહે હાથથી લખેલા 11 પાના વોટ્સએપ ગ્રૃપમાં ફરતા કર્યા હતા.
જેમાં તેણે પૈસા લીધાનો આક્ષેપ કર્યો છે પરંતુ તે આક્ષેપ પાયા વિહોણો અને તદ્દન ખોટો છે. આ પ્રકારનું કૃત્ય આચરી તેણે અમારી બદનક્ષી કરી છે, આ અંગે અખબારમાં પણ ખોટા ન્યૂઝ પ્રસિદ્ધ થયા હતા અને તેના કારણે સમાજમાં અમારી પ્રતિષ્ઠા ખરડાઇ છે. બદનક્ષીભર્યો પત્ર ઇરાદા પૂર્વક અને બદનામ કરવાના હેતુથી ફરતો કરવામાં આવ્યો છે.
જેના કારણે અમારી પ્રતિષ્ઠાને હાની પહોંચી છે, જે આક્ષેપ પત્રમાં કરવામાં આવ્યા છે તે તદન ખોટા અને પાયા વિહોણા છે, ઇરાદાપૂર્વક તેને સનસનાટી ભર્યા બનાવવા માટે પ્રકાશિત કરવામાં આવ્યા છે. બદનક્ષી થઇ હોવાના પુરાવા છે ત્યારે આરોપી સામે પગલાં લેવા જોઇએ.