ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલાના વિરોધમાં એક દિવસના ઉપવાસ પર બેઠેલા અલ્પેશ ઠાકોરે પારણા કરી લીધા છે. અલ્પેશ ઠાકોરે પરપ્રાંતીય દિકરીઓના હાથે પારણા કર્યાં છે. અલ્પેશને સમર્થન આપવા માટે કોંગ્રેસના અનેક નેતાઓ હાજર રહ્યાં હતા. આ દરમિયાન વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાના સંબોધમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા હતા.
ઉપવાસ પર બેસતા પહેલા અલ્પેશ ઠાકોર ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. અહીં અલ્પેશ ઠાકોરે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ સિવાય અલ્પેશ ઠાકોર સહિતના લોકોએ ગાંધી આશ્રમ ખાતે રામધુન બોલાવી હતી.
મહત્વનું છે કે, 28 સપ્ટેમ્બરના રોજ હિંમતનગરના ઢુંઢરમાં 14 મહિનાની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ મામલે પોલીસે બિહારના રહેવાસી રવિન્દ્ર સાહુ નામની એક વ્યક્તિની ધરપકડ કરી હતી. જે બાળકીનો બળાત્કાર થયો હતો તે ઠાકોર સમુદાયની હતી.