હિમતનગર
ચોમાસું શરૂ થતાની સાથે જ શાકભાજીમાં વધારો થવા લાગ્યો છે. સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર, પ્રાંતિજ અને વડાલીમાં શાકભાજીના મોટા બજાર આવેલા છે. આ બજારમાં વરસાદ બાદ લીલા શાકભાજીના ભાવમાં પુરા 50% જેટલો વધારો કરવામાં આવ્યો છે, જેથી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે અને વધુ ભાવને લઈને હવે ગૃહિણીઓએ પણ લીલી શાકભાજી ઓછી ખરીદી કરીને સંતોષ માનવો પડી રહ્યો છે.
આપને જણાવી દઈએ કે, હાલ પ્રથમ વરસાદ બાદ જ લીલા શાકભાજીના ભાવમાં 50% જેટલો વધારો થયો છે. જો અગામી દિવસમાં વધુ વરસાદ થશે તો લીલા શાકભાજીના ભાવમાં આગ ઝરતી તેજી આવે તો નવાઈ નહિ.
ઉલ્લખનીય છે કે, જયારથી વરસાદ પડવાનું શરુ થાય છે ત્યારથી જ શાકભાજીના ભાવમાં પણ વધારો કરવામાં આવે છે અને મોઘવારીમાં હમેશા ગૃહિણીઓને જ વધુ નડતો હોય છે. ગૃહિણીઓ પોતાનું બજેટ ઘરની ચીજવસ્તુઓ લાવવા માટે ફાળવી દેતા હોય છે ત્યારે અચાનક ભાવ વધી જતા ગૃહિણીઓને શાકભાજી ખરીદી કર્યા વગર ચાલતું નથી હોતું તેથી મોઘી શાકભાજી ખરીદી તો કરે છે પરંતુ તેમાં કાપ મુકે છે અને બજેટ જાળવી રાખવાનો પ્રયત્ન કરવા પડી રહ્યા છે.
બી.એમ.બારોટ નામના વેપારીનું કહેવું છે કે, “વધુ વરસાદપડ્યો હોવાથી શાકભાજીની આવક ઓછી થઇ રહી છે અને જો આગામી સમયમાં વરસાદ આજ રીતે પડતો રહેશે તો આ કરતા પણ વધારે ભાવ વધવાની શક્યતા થઇ શેકે છે. જો કે ખેડૂતોને નુકશાન થવાના કારણે આ ભાવ વધારવામાં આવ્યા છે.
બીજી બાજુ, સુનીતાબેન પટેલ કે જે ગૃહિણી છે તેમનું કહેવું છે કે, “શાકભાજીના ભાવ વધી ગયા છે જેથી બજેટ કરતા ભાવ વધારે હોવાથી શાકભાજી ઓછી ખરીદીએ છીએ અને આ કારણે બજેટમાં ઘણો ફર્ક પડે છે”.
મહત્વનું છે કે, ચોમાસાની શરૂઆત થાય ત્યારે શાકભાજી પકવતા ખેડૂતો વરસાદને લઈને ઉત્પાદન ઘટી જાય છે, શાકભાજી બગડે પણ છે જેથી તેમને કરેલા વાવેતર કરતા ઉત્પાદન ઓછું થાય છે, તો બીજી તરફ શાકભાજીના માર્કેટમાં ચોમાસામાં લીલા શાકભાજીની આવક ઘટી જાય છે ત્યારે સામે માંગ વધે છે. જેથી ભાવમાં તેજી આવી જાય છે.
આમ હિમતનગરના માર્કેટમાં પણ લીલા શાકભાજીના ભાવમાં 50 ટકા જેટલો ભાવ વધારો થયો છે. જેને લઈને મોઘવારીનો સામનો ગ્રાહકે કરવો પડે છે.
અહીં, જાણો શાકભાજીના આજના ભાવ (પ્રતિ 20 કિલો)
બટાકા – 280-300
ડુંગળી – 340-400
રીંગણ – 160-200
ભીંડા – 400-500
ચોરી – 800-1000
કોબીજ – 100-120
ગવાર – 900-1000
દુધી – 300-600
કરેલા – 800-900
ટામેટા – 450-500
મરચા – 500-600
ધાણા – 400-600