જામનગર,
જામનગરમાં શરૂસેક્શન રોડ પર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબાની બીએમડબલ્યુ કારને બાઈકે ઠોકર મારી હતી અને આ બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં બાઈકચાલક કોન્સ્ટેબલે રિવાબાને બે થી ત્રણ થપ્પડો મારી હતી, જેમાં બનાવ સ્થળ પર લોકોના ટોળેટોળાં એકત્રિત થયા હતા અને આસપાસના બે થી ત્રણ વ્યક્તિઓ દ્વારા આ મામલો થાળે પાડવા પ્રયત્નો પણ કર્યા હતા.
બનાવને પગલે રિવાબા જિલ્લા પોલીસવડાની કચેરી પહોંચી હતી, જ્યાં કોન્સ્ટેબલ વિરુધ્ધ કાયદેસર પોલીસ પગલાં ભરે તેવી માંગણી કરી હતી. રીવાબા પર હુમલો કરવાના પ્રકરણમાં સીટી ડિવિઝનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંજય કરંગિયા સામે બી ડિવિઝન પોલીસે માર મારવા અકસ્માત અને નિર્લજ્જ હુમલો કરવાની ભારતીય ફોજદારી ધારાની કલમ, 279, 324, 354 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ બનાવ અંગે પી.એસ.આઈ રવિરાજસિંહ જાડેજાને તપાસ સોંપવામાં આવી હતી.
ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીની કારને અકસ્માત અને થયેલા હુમલા અંગે જિલ્લા પોલીસે વડાને જાણ થતા જ સિટી સી ડિવિઝનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા આરોપી સંજય આહીરની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી.