અમદાવાદ: રાજકોટ જિલ્લાના આઠ જેટલા અસરગ્રસ્ત તાલુકાઓમાં ખેડૂતોને સહાયરૂપ થવા માટે ગ્રાન્ટ આપવામાં સરકારી તંત્ર દ્વારા ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યું હોવાનું લાગી રહ્યું છે.
ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજકોટમાં ખેડૂતોને કૃષિ ઈનપુટ સહાય યોજના હેઠળ 94 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી આ કૃષિ ઈનપુટ સહાય યોજના પેટેની ગ્રાન્ટમાંથી માત્ર 36 કરોડ રૂપિયાની રકમની ફાળવણી કરવામાં આવી છે. આવી સ્થિતિમાં સરકારી તંત્ર દ્વારા ખેડૂતોને પૂરતી સહાયની રકમ મળે તેવુ જણાતું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં જેતપુર, વિંછીયા, જસદણ, ગોંડલ, પડધરી, ધોરાજી, ઉપલેટા અને કોટડાસાંગાણી તાલુકાને અછતગ્રસ્ત તાલુકા તરીકે જાહેર કરવામાં આવેલા છે.
આ અછતગ્રસ્ત તાલુકાઓને અલગ અલગ ત્રણ તબક્કે જુદી જુદી સહાય આપવાની થાય છે. જેમાં કૃષિ ઈનપુટ સહાય યોજનાના ભાગરૂપે પ્રથમ તબક્કામાં 6100 રૂપિયા, બીજા તબક્કામાં 5800 રૂપિયા અને ત્રીજા તબક્કામાં 5300 રૂપિયા ફાળવવાના થાય છે.
આ કૃષિ ઈનપુટ સહાય યોજના હેઠળ સહાય મેળવવા માટે 1,11,472 ખેડૂતો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે અને આ ફોર્મ તા. 15મી જાન્યુઆરી સુધી ભરી શકાશે.
જો સરકાર દ્વારા આ સહાય યોજના અંતર્ગત ગ્રાન્ટની પૂરતી રકમ ફાળવવામાં નહી આવે તો તમામ ખેડૂતોને આ સહાય નહી મળે તેવો ચણભણાટ ખેડૂતોમાં જોવા મળી રહ્યો છે.
રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જ તેમના જિલ્લાના અછતગ્રસ્ત તાલુકાઓ માટે રાહત સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આમ છતાં વહીવટી તંત્ર દ્વારા મુખ્યમંત્રીના આદેશોની અવગણના કરીને અસરગ્રસ્તોને સહાયની ફાળવણી કરવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. સરકારના વહીવટી તંત્રની આવી નિતી સામે રાજકોટ જિલ્લાના ખેડૂતોમાં નારાજગી પ્રસરી છે.