અમદાવાદ: સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે નર્મદા નદીમાં પાણી આવી રહ્યું છે. જેના પગલે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. નવાં પાણીની આવકના કારણે હાલમાં નર્મદા ડેમની જળ સપાટી વધીને 109.95 મીટર પર પહોંચી ગઇ છે.
નર્મદા ડેમની સપાટી 110 મીટરની નજીક પહોંચી
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનાં ઉપરવાસ વિસ્તાર એવા મધ્યપ્રદેશમાં સારો વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે.
નવાં પાણીની આવકના લીધે ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પાણીની સતત આવકના લીધે હાલ નર્મદા ડેમમાં 9674 ક્યુસેક નવાં પાણીની આવક થઈ છે. જેના લીધે નર્મદા ડેમની સપાટી 109.95 મીટર પર પહોંચી ગઇ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 110 મીટર સુધી પહોંચી જશે ત્યારે IBPT ટનલને બંધ બંધ કરી દેવામાં આવશે. હાલ નર્મદા ડેમમાં 3593.77 (મિલિયન કયુસેક મીટર) એમસીએમ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે, જે રીતે નર્મદા ડેમમાં પાણીની આવક આવી રહી છે તેને જોતા આજે સાંજ સુધીમાં નર્મદા ડેમની સપાટી 110 મીટરને પાર કરી જાય તેવી શક્યતા છે.
નર્મદા જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો
નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જેમાં નાંદોદમાં 1.75 ઇંચ, તીલકવાડામાં 3 ઇંચ , ગરૂડેશ્વરમાં 2.75 ઇંચ, ડેડીયાપાડામાં 1.5 ઇંચ, જયારે સાગબારામાં માત્ર 14 મિ.મી. વરસાદ નોંધાયો હતો.