કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરનું મોં કાળું કરવા માટે અલીગઢના એક યુવા નેતાએ 11,000 રૂપિયાનું ઇનામ આપવાની ઘોષણા કરી છે. આ ઘોષણા થરૂરના એ નિવેદન બાદ કરવામાં આવી છે, જેમાં એમણે કહ્યું હતું કે 2019માં જો ભાજપ લોકસભા ચૂંટણી જીતી જશે તો ભારત હિંદુ પાકિસ્તાન બની જશે.
શશી થરૂરના નિવેદનની નિંદા કરતા મુસ્લિમ યુથ એસોશિએશન, અલીગઢના અધ્યક્ષ મોહમ્મદ આમિર રાશિદે કહ્યું કે શશી થરૂરે ફક્ત હિંદુઓ જ નહિ પરંતુ રાષ્ટ્રવાદી મુસ્લિમોને પણ દુઃખ પહોચાડ્યું છે. હિન્દૂ મુસ્લિમ એકતા જ આપણી સંસ્કૃતિનો વારસો છે. અને થરૂરે એને અપમાનિત કરવાની કોશિશ કરી છે. રાશિદે કહ્યું કે જે કોઈ વ્યક્તિ શશી થરૂરનું મોં કાળું કરશે, એને 11,000 રૂપિયા ઇનામ આપવામાં આવશે.
રાશિદે આગળ કહ્યું કે ભારત શશી થરૂર અને એમની પાર્ટીને આ આધારહીન નિવેદન માટે ક્યારે પણ માફ નહિ કરે. આનું ફળ કોંગ્રેસને 2019ની લોકસભા ચૂંટણીઓમાં મળશે. થરૂરને પાકિસ્તાનથી એટલો પ્રેમ છે તો એમણે પાકિસ્તાન ચાલ્યા જવું જોઈએ. બુધવારે તિરૂવનંતપુરમમાં એક કાર્યક્રમમાં શશી થરૂરે વિવાદિત નિવેદન આપ્યું હતું.