અમદાવાદ,
99 ધારાસભ્યો સાથે ગુજરાતમાં 6ઠ્ઠીવાર બનેલી ભાજપની સરકારને પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાની પાસેથી છીનવાઇ ગયેલાં ખાતાઓ મામલે નારાજ થઇ ગયા છે. ભાજપની સરકારમાં મંત્રીઓએ લીધેલી શપથવિધિ પછી ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મીડીયા સહિત પક્ષના નેતાઓને મળવાનું ટાળીને તેમની નારાજગી સ્પષ્ટ દર્શાવી રહ્યાં છે. શુક્રવારે નીતિન પટેલ કામકાજથી અળગા રહ્યાં હતા અને તેમને ફાળવવામાં આવેલી સરકારી કાર પણ વાપરી નહોતી.
ઉલ્લેખનીય છે કે, નીતિન પટેલ પાસેથી શહેરી વિકાસ અને નાણાં ખાતું જેવા મહત્વના પોર્ટફોલિયો લઇ લેવામાં આવ્યાં છે.
આમ નીતિન પટેલ વેતરાઇ ગયા હોવાની ચર્ચા ચારેબાજુ ચાલી રહી છે. ત્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, આ પાટીદાર નેતા ભાજપને અલવિદા પણ કહી શકે છે.સુત્રો એવું પણ કહી રહ્યાં છે કે નીતિન પટેલે ભાજપ હાઇકમાન્ડને 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે.
નીતિન પટેલ નારાજ થતાં તેમના અનેક સમર્થકો તેમને મળવા પહોંચ્યા હતા.
દરમિયાન ભાજપ હાઇકમાન્ડે નીતિન પટેલને મનાવવાના પ્રયત્નો ચાલુ કર્યા છે. એવી પણ માહિતી મળી રહી છે કે નીતિન પટેલને મનાવવા માટે શુક્રવારે ટોચના નેતાઓની બેઠક પણ મળી હતી. જેમાં તેમની નારાજગી દૂર કરવા અંગે ચર્ચા થઈ હતી.
ડેપ્યુટી સીએમ નિતીન પટેલની નારાજગી મામલે સીએમ રૂપાણીએ મૌન ધારણ કરી લીધુ હતું. મિડીયા સાથેની વાતચીતમાં પૂછવામાં આવેલા સવાલો દરમિયાન સીએમ રૂપાણી પત્રકારોના સવાલના જવાબ આપવાનું ટાળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં ફ્લાવર શો ના ઉદ્દઘાટન કરવા માટે સીએમ રૂપાણી રિવરફ્રન્ટ પહોંચ્યા હતા, જ્યાં નિતીન પટેલ નારાજગી મામલે મૌન ધારણ કરી લીધું હતું.
અમદાવાદમાં નિતીન પટેલની નારાજગીનો પાટીદાર નેતા હાર્દિક પટેલે પણ મુ્દ્દો બનાવી દીધો છે. હાર્દિકે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, જો નિતીન પટેલનું માન ભાજપમાં ન જળવાતું હોય તો તેઓ અમારી સાથે જોડાઈ શકે છે. જો તેમને જો કોંગ્રેસમાં જોડાવુ હશે તો પણ હું તે અંગે વાત કરવા તૈયાર છું.