ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે. દરરોજ કોવિડના દર્દીઓની સંખ્યાનો રેકોર્ડ બ્રેક થઇ રહ્યો છે. એક તરફ રસીકરણ ચાલી રહ્યું છે તો બીજી બાજુ કોરોનાના કેસોની સ્પીડ પણ વધી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કુલ 2360 નવા કેસ નોંધાયા છે. તેની સામે 2004 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 9 વ્યક્તિના કોરોનાથી મોત (Corona Death) થયા છે. રાજ્યમાં કોરોનાનો કુલ આંક 3,07,698 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં 2,90,569 દર્દીઓ કોરોનાને મ્હાત આપવામાં સફળ થયા છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 4,519 પર પહોંચ્યો છે.
અત્યાર સુધીમાં કુલ 49,45,649 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 6,65,395 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,72,460 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 19,347 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
કોરોનામાં રાજ્યનો રીકવરી રેટ 94.43 ટકા જેટલો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,90,569 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,610 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 152 છે. જ્યારે 12,458 લોકો સ્ટેબલ છે. 4,519 લોકોનાં મોત નિપજ્યા છે.
આ ઉપરાંત જિલ્લાની વાત કરીએ તો અમદાવાદ જિલ્લામાં 620 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા જિલ્લામાં 341, સુરત જિલ્લામાં 744 અને રાજકોટ જિલ્લામાં 208 કેસ નોંધાયા છે. ત્યારે અમદાવાદમાં 3 કોરોના દર્દીના મોત થયા છે. સુરતમાં 3, ખેડામાં 1, મહિસાગરમાં 1 અને વડોદરામાં 1 દર્દીનું મોત થયું છે એમ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 9 દર્દીઓના કોરોનાથી મોત થયા છે.