અમદાવાદ,
આવતીકાલે ઉત્તરાયણ એટલે કે મકરસંક્રાતિનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવશે. આ મકરસંક્રાતિના દિવસે સૂર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ સાથે જ છેલ્લા એક મહિનાથી ચાલી રહેલ ધનાર્ક કમુર્તા પણ પૂર્ણ થાય છે. ત્યારે આવતીકાલે બપોરે ૧ઃ૪૭ કલાકે સુર્ય ધન રાશિ છોડીને મકર રાશિમાં પ્રવેશ કરશે.
સુર્યનો મકર રાશિમાં પ્રવેશ થતા જ તમારા જીવનમાં અનેક ઉથલપાથલો આવી શકે છે. ખાસ કરીને હેલ્થને લગતી અનેક સમસ્યાઓ ઉભી થઇ શકે છે. એ સિવાય જે વ્યક્તિઓ કાયદાકીય કેસોનો સામનો કરતી હોય તેમને પણ સમસ્યા ઉભી થઇ શકે છે. જો કે દિવસોમાં દાન કરવાથી અનેક સમસ્યાઓ હલ થઇ શકે છે.
આ વખતે મોટાપાયે રાશિ પરિવર્તન થઈ રહ્યુ છે. જે મુજબ આજે શુક્ર મકર રાશિમાં પ્રવેશ્યો છે. જ્યારે આવતીકાલે સુર્ય મકર રાશિમાં પ્રવેસશે. જ્યારે મંગળવારે મંગળ રાશિ પરિવર્તન કરશે. એટલે કે ચાર દિવસની અંદર ત્રણ ગ્રહો રાશિ પરિવર્તન કરી રહ્યા છે. જેથી આ સમય દરમિયાન ઈષ્ટદેવની આરાધના અને દાન સહિતના કાર્યોથી લાભ થાય છે. મંગળવારે વૃદ્ધિ તિથિ હોવાથી દર્શ અમાસ પણ છે. જ્યારે ૧૭ જાન્યુઆરીએ મૌની અમાસ ઉજવવામાં આવશે. આ અમાસના દિવસે પણ દાન પૂણ્યનુ કાર્ય કરી શકાય છે.
ગ્રહો મુજબ આવતીકાલે બપોરે ૧ઃ૪૭ કલાકથી મકરસંક્રાતિ શરુ થશે. સાથે જ ધનાર્ક કમુર્તા પણ પુર્ણ થશે. જોકે, ધનાર્કના કમુર્તા પૂર્ણ થતા હોવા છતા શુક્ર અસ્તના કમુર્તા એક ફેબ્રુઆરી સુધી યથાવત રહેશે. જેથી 1 ફેબ્રુઆરી સુધી લગ્ન સહિતના માંગલિક કાર્યો કરી શકાશે નહીં. જોકે ધનાર્કના કમુર્તા પૂર્ણ થયા બાદ સીમંત, દીક્ષા સહિતના કાર્યો કરી શકાશે. ઉતરાયણના દિવસે આપવામાં આવતા દાન પૂણ્યનુ અનેક ઘણુ મહત્વ રહેલુ હોય છે. તેમજ આ દાન પુણ્યનુ વિશેષ ફળ મળતુ હોય છે.