અમદાવાદ: સોમનાથ ખાતે યોજાનાર આરએસએસ (RSS)ની કાર્યકારિણીની બેઠકમાં ભાગ લેવા આવી પહોંચેલા સંઘના વડા મોહન ભાગવતે રાજકોટમાં મીડિયા કર્મીઓએ સવાલ પૂછતાં કહ્યું હતું કે, ભાઈ બોલવા વાળા બીજા ઘણા છે, હું બોલીશ તો મારી નોકરી જશે તેવું માર્મિક નિવેદન કર્યું હતું.તેમનું આ નિવેદન કેટલો વિવાદ ચગાવશે તે તો સમય જ બતાવશે.
ગુજરાતના ગિર સોમનાથ જિલ્લાના તા. ૧૫થી ૧૭મી જુલાઈ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ક્ષેત્રિય પ્રચારકોની એક ત્રિદિવસીય વાર્ષિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સંઘના વડા અને સરસંઘચાલક મોહન ભાગવત આજે સોમનાથ આવી પહોંચ્યા હતા.
સોમનાથ આવતા પૂર્વે રાજકોટ એરપોર્ટ ખાતે મીડિયા કર્મીઓ દ્વારા મોહન ભાગવતને કઈંક કહેવાનો અનુરોધ કર્યો હતો. પરંતુ તેઓ કશું જ બોલ્યા ન હતા, છેવટે તેઓ કારમાં બેસવા જઈ રહ્યા હતા ત્યારે મીડિયા કર્મીઓએ કઈંક કહેવા માટે અનુરોધ કર્યો હતો. જેના સંદર્ભમાં સંઘના સુપ્રિમોએ કારમાં બેસ્યા બાદ કહ્યું હતું કે, બોલવા માટે બીજા ઘણા લોકો છે. હું બોલીશ તો મારી નોકરી જતી રહેશે.
સંઘના ક્ષેત્રિય પ્રચારકોની ત્રિદિવસીય કાર્યકારિણીની બેઠકમાં ઉપસ્થિત રહેવા માટે સોમનાથ આવેલા સંઘના સુપ્રીમો મોહન ભાગવત દ્વારા કરાયેલું આ માર્મિક નિવેદન ઘણું બધું કહી જાય છે. મોહન ભાગવતના આ નિવેદનથી સંઘ અને ભાજપ વચ્ચેના ખટરાગને ખૂલ્લો પાડે તેવી સંભાવના છે.
ભાગવતે સોમનાથ દાદાની પૂજા અર્ચના કરી
સોમનાથ આવ્યા બાદ સંઘના સુપ્રીમો મોહન ભાગવતે દેવાધિદેવ ભોલેનાથ એવા સોમનાથ દાદાની પૂજા અર્ચના કરી હતી. સોમનાથ દાદાના દર્શન દરમિયાન ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી એવા કેશુભાઈ પટેલ તેમની સાથે પણ જોડાયા હતા.
સંઘ સુપ્રીમો ભાગવત સાથે બીજેપી અધ્યક્ષ અમિત શાહની મુલાકાત થાય તેવી સંભાવના
તા. 12 જુલાઈથી સોમનાથ ખાતે આવી પહોંચેલા સંઘના વડા મોહન ભાગવતની સાથે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુલાકાત થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, અમિત શાહ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ત્યારે તેઓ સંભવતઃ તા. 13 મી જુલાઈના રોજ સોમનાથ ખાતે સંઘના વડા મોહન ભાગવત સાથે મુલાકાત કરે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.