અમૃતસર: પંજાબના અમૃતસરમાં દશેરા પર્વ નિમિત્તે રાવણ દહન જોઈ રહેલા આશરે 70 થી વધુ લોકો રેલગાડીની ચપેટમાં આવી જવાના કારણે મોત નીપજ્યા છે. જયારે ૪૦થી વધુ લોકોની હાલત ગંભીર ગણાવાય રહી છે. જયારે આ દુર્ઘટનામાં ‘રાવણ’નું પણ ટ્રેનની નીચે આવી જવાથી મોત નીપજ્યું છે, આ ‘રાવણ’ એટલે કે દલબીર સિંહ નામનો યુવક રામલીલામાં ‘રાવણ’નું પાત્ર ભજવતો હતો. ‘રાવણ’ દલબીર સિંહના મોતથી તેની પત્ની અને માતાની હાલત રોઈ રોઈને ખરાબ હતી ગઈ છે. દલબીરને આઠ માસનું બાળક પણ છે.
પ્રાપ્ત માહિતી મુજબ જે સમયે રાવણના પૂતળાનું દહન થઈ રહ્યું હતું, તે સમયે રામલીલામાં ‘રાવણ’નું પાત્ર ભજવનાર દલબીર સિંહનું ટ્રેનની નીચે આવી જતાં મોત નીપજ્યું હતું. આ ઘટના પછી દલબીરના પરિવારની હાલત રોઈ રોઈને બેહાલ થઈ ગઈ છે. આ ઘટના માટે દલબીરના પરિવારે સ્થાનિક પ્રશાસનને જવાબદાર ગણાવ્યું છે.
દલબીરની માતાએ પુત્રવધુ માટે નોકરી માંગી
રામલીલામાં રાવણનું પાત્ર ભજવતા અને અમૃતસર રેલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દલબીરની માતાએ કહ્યું કે, હું મારી બહુ (પુત્રવધુ) ને નોકરી આપવમાં આવે તેવી સરકારને અપીલ કરું છું.
કેવી રીતે બની દુર્ઘટના?
શુક્રવારે જોડા ફાટક રેલવેલાઈન પાસે વિજયાદશમી પર્વ અંતર્ગત રાવણના પૂતળાનું દહન કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન સૈંકડોની સંખ્યામાં મહિલાઓ, બાળકો સહીત મોટી સંખ્યામાં લોકો ‘રાવણ દહન’ માટે એકઠાં થયા હતા અને રાવણ દહન નિહાળી રહ્યા હતા.
આ સમયે આ તમામ લોકો એ વાતથી બિલકુલ અજાણ હતા કે, થોડા જ સમયમાં તેમનો હર્ષોલ્લાસ છે તે શોકમાં પરિણમશે. આ સમયે જલંધરથી અમૃતસર આવી રહેલી ડીએમયૂ રેલગાડી તેજ ગતિથી પસાર થઈ હતી અને પાટા ઉપર ઉભા રહીને ‘રાવણ દહન’નો કાર્યક્રમ જોઈ રહેલા લોકોને અડફેટમાં લીધા હતા. પાટા ઉપર ઉભા રહીને ‘રાવણ દહન’ જોઈ રહેલા લોકોને ફટાકડાંના અવાજમાં રેલગાડીના આવવાનો જરા પણ અહેસાસ થયો ન હતો.
આ દરમિયાન અનેક લોકો પાટા ઉપર ઉભા રહીને રાવણના પૂતળા દહનના દ્રશ્યને મોબાઈલના કેમેરામાં કેદ કરવામાં મશગૂલ હતા અને અચાનક આવેલી રેલગાડીએ તેમની જિંદગી છિનવી લીધી.