કાશ્મીરના કુલગામ જિલ્લામાં રવિવાર સવારથી સુરક્ષાદળ અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. સુરક્ષાદળએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેમની પાસેથી ત્રણ હથિયાર પણ કબ્જે લેવામાં આવ્યા છે. આ કુલગામ અથડામણ તે સ્થળ પર થઈ રહી છે કે, જ્યાં કોન્સ્ટેબલ સલીમ શાહની હત્યા કરવામાં આવી હતી. આ આતંકી જમ્મુ-કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ સલીમ શાહની હત્યામાં સામેલ હતા.
પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આતંકવાદીઓ છુપાયા હોવાની ગુપ્ત માહિતી મળ્યા બાદ સુરક્ષાદળોએ કુલગામ જિલ્લાના ખુદવાની વિસ્તારમાં નાકાબંધી કરી તપાસ અભિયાન શરૂ કર્યું હતું.
તેમણે જણાવ્યું કે, આતંકવાદીઓએ આ દરમિયાન ફાયરિંગ શરૂ કરી દેતા તપાસ અભિયાન ઘર્ષણમાં ફેરવાઈ ગયું છે. જેમાં સેના પણ આતંકીઓના ફાયરિંગનો જબરદસ્ત જવાબ આપી રહી છે. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, હાલમાં પણ આ ઘર્ષણ ચાલુ છે, અને ઘટનાની વિસ્તૃત જાણકારી મળવાની હજુ બાકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા શનિવારે કુલગામ જિલ્લામાં જ હિઝબુલ મુઝાહિદ્દીન (એચએમ)ના આંતકવાદીઓએ સલીમ શાહ નામના એક પોલીસ કોન્સ્ટેબલનું તેના ઘરેથી અપહરણ કરી લીધુ હતું, ત્યારબાદ શનીવારે સાંજે તેની લાશ મળી હતી.
પ્રવક્તાએ જણાવ્યું કે, તેની લાશ પર ઈજાના નિશાન હતા, જેના પરથી સંકેત મળે છે કે, આતંકવાદીઓએ તેને ખુબ પીડા પહોંચાડી હશે. તેમણે જણાવ્યું કે, કોન્સ્ટેબલ શાહ ૨૦૧૬માં જમ્મુ-કાશ્મીર પોલીસ સેવામાં સામેલ થયા હતા અને તે ડીપીએલ પુલવામાં ફરજ બજાવતા હતા.
મૃતક કોન્સ્ટેબલ સલીમ શાહના પરિવારમાં તેના ઘરડા માતા-પિતા, બે ભાઈ અને એક બહેન છે, અને તે તેના પરિવારમાં એકમાત્ર કમાણી કરનાર વ્યક્તિ હતો. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ સંબંધમાં મામલો નોંધવામાં આવ્યો હતો અને કોન્સ્ટેબલની હત્યા કરનારા અપરાધીઓની ધરપકડ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.