વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાત આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં પ્રચાર-પ્રસાર માટે તેઓ ફરી ગુજરાત આવશે. ભાજપ માટે સૌરાષ્ટ્રમાં તેઓ વધુ બે જાહેરસભાઓ ગજવશે. 17 એપ્રિલે વડાપ્રધાન મોદી ગુજરાતમાં અમરેલી અને સુરેન્દ્રનગરમાં ચૂંટણી પ્રચાર અંતર્ગત જાહેર સભા સંબોધશે. અમરેલીમાં જીમખાના ખાતે તેમજ સુરેન્દ્રનગરમાં જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે તેઓ સભા સંબોધશે. 12 થી 19 એપ્રિલ દરમિયાન ભાજપના સ્ટાર પ્રચારકો ગુજરાત આવવાના છે ત્યારે આજે રાજનાથસિંહ કચ્છ અને ભાવગર ખાતે સભાઓ ગજવી રહ્યા છે.
ભાજપના આ સ્ટાર પ્રચારકો પણ ગુજરાતના પ્રવાસે
સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ હવે 14 એપ્રિલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ગુજરાત આવી જાહેર સભા સંબોધશે. તદુપરાંત આવતા મંગળવારે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને બુધવારે રાજ્યસભાના સભ્ય અને અત્યારે અમેઠીમાં રાહુલ ગાંધી સામે મેદાનમાં ઉતરનારા સ્મૃતિ ઇરાની પણ ગુજરાત પ્રવાસ કરશે. 18મી એપ્રિલના ગુરુવારના રોજ વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આવશે. તેની સાથોસાથ 19મી એપ્રિલે નીતિન ગડકરી પ્રચારઅર્થે આવશે. ભાજપના આ સ્ટાર પ્રચારકો રાજ્યમાં વિવિધ સ્થલે ચૂંટણી સભાને સંબોધશે.