@ મોહસીન દાલ, મંતવ્ય ન્યુઝ
ગરીબ કાર્ડ ધારકોને સડેલું અનાજ ખવડાવવાના પુરવઠા તંત્રના વહીવટી ખેલોમાં રામનાથ (દેલોલ)ના સરપંચ નિરવ પટેલ દ્વારા સરકારી અનાજની દુકાનોમાં આવેલા સડેલા અનાજના જથ્થા સામે તપાસ કરો અગર તો ખાવા તૈયાર રહોની ઉચ્ચરવામાં આવી તંત્રને ચિમકી ..!!
પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણની મહામારીના આ કપરા દિવસોમાં કાર્ડધારકોને મફતમાં અનાજ તેમજ કેટલાક અનાજનો જથ્થો સસ્તા ભાવે આપવામાં આવતો હોવાના આ વિતરણની કામગીરીઓમાં કાલોલ તાલુકાના દેલોલ ગામે આવેલ પંડિત દિનદયાળ ઉપાધ્યાય નામની સરકારી સસ્તા અનાજની દુકાન માંથી કાર્ડધારકોને આપવામાં માટે આવેલ સરકારી અનાજનો જથ્થો સડેલો અને જીવાતોથી ભરપૂર હોવાના આ દ્રશ્યો રામનાથના સરપંચ અને કોંગ્રેસ અગ્રણી નિરવ પટેલે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ મુક્યા બાદ દોડતા થયેલા પુરવઠા તંત્રના સત્તાધીશોએ પણ આ સડેલા અનાજના જથ્થાને પરત લેવાની તૈયારીઓ દર્શાવી હતી. જો કે સરપંચ નિરવ પટેલે કોરોનાના આ કપરા દિવસોમાં રોજગારીઓ ગુમાવનારા ગરીબોને સસ્તાદરે અનાજ આપવાના ભા.જ.પ. સરકારના જશ લેતા ઉચ્ચારણોમાં ગરીબોને એકદમ જીવાતોથી ભરપૂર સડેલા અનાજનો જથ્થો સરકારી દુકાનોમાં ક્યાંથી આવ્યો આ સંદર્ભમાં તપાસની માંગ કરતા કાલોલ મામલતદારને સુપ્રત કરેલા આવેદનપત્રમાં જરૂર પડ્યે આ સડેલા અનાજનો જથ્થો અધિકારીઓને પણ ખવડાવવાની ફરજ પડશેના આક્રમક તેવરો દેખાડતા પુરવઠા તંત્રમાં સ્તબ્ધતા પ્રસરી જવા પામી છે.
કાલોલ તાલુકાના દેલોલ ગામમાં આવેલ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નામની સસ્તા અનાજની સરકારી દુકાનમાંથી એક મહિલા લાભાર્થીને મળેલું અનાજ સડેલું હોવાનું જોવા મળતા સ્થાનિક કોંગ્રેસના નેતા અને રામનાથ પંચાયતના સરપંચે સસ્તા અનાજની દુકાનેથી મળેલા વિવિધ અનાજના ફોટા વિડિયો પાડીને સોશિયલ મિડિયામાં વાયરલ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી. તદ્ઉપરાંત ગામડાઓમાં ગરીબ પ્રજા અને પરિવારોને આવી હલકી કક્ષાનું અનાજ વિતરણ કરવા સામે સવાલો ઉઠાવી કાલોલ મામલતદારને આવેદનપત્ર આપી તપાસ કરવાની લોકમાંગ કરી હતી. દેલોલ ગામની સસ્તા અનાજની દુકાનેથી સડેલા અનાજના પુરવઠા સામે કોંગ્રેસ નેતાએ સોશ્યિલ મીડિયામાં પશુઓને પણ ખવડાવી ના શકાય તેવા તેવા અનાજ અને સરકારી વ્યવસ્થા તંત્ર સામે આવેદનપત્ર આપી આગામી સમયમાં ફરી આવા સડેલા અનાજનો પુરવઠો નાગરિકોને મળશે તો જવાબદાર સરકારી અધિકારીઓને અને નેતાઓને આવા સડેલા અનાજમાંથી બનાવેલ રોટલા શાક ખાવા માટે મજબૂર કરવામાં આવશે તેવી ધારદાર રજૂઆત કરવામાં આવી હતી. જે સમગ્ર મામલે દેલોલ ગામની સસ્તા અનાજની દુકાને જ સડેલા અનાજનો પુરવઠો ઉપલબ્ધ થયો છે કે પછી ઉપરથી જ કાલોલ તાલુકાની સમગ્ર સસ્તા અનાજની દુકાનોમાં પણ આવો જ પુરવઠો ફાળવવામાં આવ્યો છે આ સમગ્ર વિતરણ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવી અસરકારક તપાસ અને પગલાં ભરવાની લોકમાંગ ઉઠવા પામી છે.
આ સમગ્ર ઘટના અંગે પુરવઠા તંત્ર દ્વારા તપાસ હાથ ધરી હતી. જેમાં દેલોલ સસ્તા અનાજની દુકાનદાર શકુંતલાબેન અશોકભાઈ શાહની દુકાનમાં મકાઈના અનાજના અમુક કટ્ટાઓમાં ખરાબી જોવા મળી હતી. જે મકાઈના કટ્ટાઓનો જઠહો પુરવઠા તંત્ર દ્વારા તાત્કાલિક દુકાન દારને બદલી આપવામાં આવ્યો હતો. તેમ પુરવઠા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું..