અમદાવાદ ખાતે મહર્ષિ દયાનંદ સરસ્વતીના 200મી જન્મજયંતિ નિમિતે ‘જ્ઞાન જ્યોતિ પર્વ’ ઉજવાયુ હતુ. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા કરાઇ રંગારંગ ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે યુવાનો દ્વારા દેશભકિતના ગીતો પર નૃત્ય કરવામાં આવ્યું હતું અને સામાજિક વિષયો પર જાગૃતતા લાવવા અંગે નાટક પણ રજૂ કરાયું હતું.
જ્ઞાન જ્યોતિ પર્વના આયોજન બદલ આર્ય સમાજને શુભેચ્છાઓ પાઠવતા રાજ્યપાલશ્રીએ પોતાના ઉદબોધનમાં કહ્યું કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોને દેશભરમાં પ્રસ્થાપિત કરવાના ધ્યેય સાથે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ વર્ષે 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી ખાતેથી મહર્ષિ દયાનંદ સરસ્વતીની 200 મી જન્મ જયંતીના આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રી એ કહ્યું કે, આપણાં સૌ માટે આનદની વાત એ પણ છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જયંતિના અવસરે જ્ઞાન જ્યોતિ પર્વનો આરંભ નવી દિલ્હીથી કરાવ્યો હતો. આમ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે સમગ્ર દેશમાં સાંસ્કૃતિક નવજાગરણનો એક દૌર ચાલ્યો છે.મહર્ષિ દયાનંદ સરસ્વતીજીની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આજથી બે સદી પહેલાં જ્યારે મહર્ષિ દયાનંદજીનો જન્મ થયો હતો ત્યારે દેશ સદીઓની ગુલામીથી નબળો પડીને પોતાનું તેજ ગુમાવી રહ્યો હતો. એટલું જ નહીં આપણા સંસ્કારો, મૂલ્યો, આદર્શોને નાબૂદ કરવાના અનેકો પ્રયાસો થયા હતા ત્યારે આવી પરિસ્થિતિમાં મહર્ષિજીએ સમાજમાં વેદના બોધને પુનર્જીવિત કર્યો અને લોકોને નવી દિશા આપી હતી.આ સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે, સ્વામી દયાનંદજી હંમેશાથી કહેતા કે ભારત એના પ્રાચીન મૂળ ધર્મ તરફ પાછો ફરે અને આખા વિશ્વમાં શ્રેષ્ઠ વિચારોનો સંચાર થવો જોઈએ. મહર્ષિ દયાનંદ સરસ્વતી સહિતના સંતો-ઋષીઓએ સમાજ તેમજ રાષ્ટ્ર નિર્માણમાં પણ ખૂબ મોટું યોગદાન આપ્યું છે
ગુજરાતના ટંકારા ખાતે જન્મેલા મહર્ષિ દયાનંદ સરસ્વતીજીએ સમાજમાં વૈચારિક ક્રાંતિ દ્વારા સમાજ સુધારણા ક્ષેત્રે નિરંતર કાર્ય કરેલું. ગુજરાત સહિત દેશભરમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં તેમણે સમાજ કલ્યાણ અને સમાજ સુધારણાના પરમ ધ્યેય સાથે અનેક સંસ્થાઓ અને પુસ્તકો થકી દેશભરમાં પ્રવર્તતા કુરિવાજો, અજ્ઞાનતા અને અંધવિશ્વાસ સામે સમાજને જાગૃત કરવા માટે વૈચારિક ક્રાંતિ દ્વારા શ્રેષ્ઠ કાર્ય કરેલું. તેમણે વેદોના જ્ઞાનનો દુનિયાને પરિચય કરાવ્યો હતો. દેશની પ્રાચીન સંસ્કૃતિની રક્ષા અને સંવર્ધન માટે વિવિધ ગુરુકુલ સ્થાપીને સમાજને વિદ્વાનો આપ્યા હતા. તેમણે સ્ત્રી શિક્ષણ, છૂત – અછૂત, વ્યસન, સહિતના દૂષણો સામે સમાજને જાગૃત કરવા માટે નિરંતર કાર્ય કર્યુ હતુ.અંગ્રેજોએ ભાષા અને ધર્મના આધારે વિભાજિત કરેલા દેશને એક કરવા તેમણે હિન્દી ભાષામાં 40 જેટલા ગ્રંથો આપ્યા હતા. તેમણે સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક ક્ષેત્રે મોટી વૈચારિક ક્રાંતિ આણેલી એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.