નવી દિલ્હી,
વર્ષ ૧૯૮૪માં થયેલા શીખ રમખાણોના કેસમાં દિલ્હી હાઈકોર્ટ દ્વારા સજ્જન કુમારને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. હાઇકોર્ટ દ્વારા આ મામલે ૩૪ વર્ષ બાદ નીચલી કોર્ટના નિર્ણયને બદલતા કુમારને આ સજા ફટકારી છે.
દિલ્હી હાઈકોર્ટ દ્વારા સજ્જન કુમારને ઉમ્રકેદની સજાની સાથે સાથે ૫ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે અને ૩૧ ડિસેમ્બર સુધી સરેન્ડર થવા માટે આદેશ આપ્યો છે.
સજ્જન કુમાર પર અપરાધિક ષડયંત્ર રચવું, હિંસા અને રમખાણો ભડકાવવાના આરોપ છે.
આ પહેલા દિલ્હી હાઈકોર્ટની જસ્ટિસ એસ મુરલીધર અને જસ્ટિસ વિનોદ ગોયલની ડબલ બેંચ દ્વારા ગત ૨૯ નવેમ્બરના રોજ CBI, પીડિતો અને દોષીઓ દ્વારા કરાયેલી દલીલો સાંભળીને પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.
સજ્જન કુમારને સજા ફટકારતા હાઈકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું, “ઘણા દાયકાઓથી લોકો ન્યાયની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ આ તપાસ એજન્સીઓની નાકામી છે કે અત્યારસુધી આ મામલે કઈ થઇ શક્યું નથી.
આ પહેલા ૧૯૮૪ના શીખ રમખાણો મામલે વર્ષ ૨૦૧૩માં કોંગ્રેસના નેતા સજ્જન કુમારને નીચલી કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યા હતા, જયારે પૂર્વ કોંગ્રેસ પાર્ષદ બલવાન ખોખર, કેપ્ટન ભાગમલ, ગિરધારી લાલ અને અન્ય બે લોકોને દોષિત જાહેર કર્યા હતા.
શું છે આ મામલો ?
આ મામલો વર્ષ ૧૯૮૪મા પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજધાની દિલ્હીની છાવણીના રાજનગર ક્ષેત્રમાં એક જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડમાં કોંગ્રેસના નેતા સજ્જન કુમાર પણ આરોપી હતા.