નવી દિલ્હી,
ભારતના પ્રસિદ્ધ વૈજ્ઞાનિક અને ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટના સ્થાપક પ્રશાંત ચંદ્ર મહાલનોબિસની શુક્રવારે ૧૨૫ મી વર્ષગાંઠ છે. ૨૯ જૂન, ૧૮૯૩ના રોજ જન્મેલા મહાલનોબિસની યાદમાં આજના દિવસને સ્ટેટિસ્ટિકલ દિવસ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે ઉપ-રાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ ૧૨૫ રૂપિયાનો સિક્કો લોન્ચ કરશે. આ ઉપરાંત તેઓ ૫ રૂપિયાનો નવો સિક્કો પણ લોન્ચ કરવાના છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યુટ અને મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા આ દિવસની ઉજવણી માટે કોલકાતામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં જ ઉપ-રાષ્ટ્રપતિ વૈંકૈયા નાયડુ ૧૨૫ રૂપિયાનો સિક્કો લોન્ચ કરવાના છે.
મહાલનોબિસે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યુટની સ્થાપના ૧૭ ડિસેમ્બર, ૧૯૩૧ના રોજ કરી હતી અને ઔપચારિક રીતે ૨૮ એપ્રિલ, ૧૯૩૨ના રોજ તેને રજીસ્ટર કરવામાં આવી હતી. કોલકાતા પછી, તેની ઘણી શાખાઓ દેશના જુદા જુદા રાજ્યોમાં શરૂ કરવામાં આવી હતી. ભારતીય આંકડાકીય સંસ્થાઓની શાખાઓ ભારતમાં દિલ્હી, બેંગલોર, હૈદરાબાદ, પુણે, કોઇમ્બતુર, ચેન્નાઇનો સમાવેશ થાય છે.
સર્ચ એન્જિન ગૂગલ દ્વારા પણ શુક્રવારે પી સી મહાલનોબિસની ૧૨૫મી વર્ષગાંઠ પર ગૂગલે ડૂડલ બનાવીને યાદ કર્યા છે. નોંધનીય છે કે ૨૦૦૭માં સરકારે ૨૯ જૂનને સ્ટેટસ્ટિક દિવસ તરીકે જાહેર કર્યો હતો.