નવી દિલ્હી,
મોદી સરકારના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નાણા મંત્રી અરુણ જેટલીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર લખેલા બ્લોગ પર આ અંગે જાણકારી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, અરવિંદ સુબ્રમણ્યમના રાજીનામાં પાછળ પોતાના અંગત કારણોને જવાબદાર ગણવામાં આવ્યા છે અને તેઓ રાજીનામાં બાદ તેઓ અમેરિકા જવાના છે.
નાણા મંત્રી અરુણ જેટલીએ જણાવ્યું, “અરવિંદ સુબ્રમણ્યમ અમેરિકા જઈ રહ્યા છે અને તેઓ ઓક્ટોબર મહિનામાં પાછા ફરશે”.
પરિવારની જવાબદારીઓ નિભાવવા માટે અમેરિકા જઈ રહ્યા છે સુબ્રમણ્યમ
તેઓએ વધુમાં જણાવ્યું, “કેટલાક દિવસ પહેલા મુખ્ય આર્થિક સલાહકાર મને વીડિયો કોન્ફરન્સ દ્વારા મળ્યા હતા અને મને જાણકરી આપી હતી કે તેઓ પોતાની પરિવારની જવાબદારીઓ નિભાવવા માટે અમેરિકા જવા માંગે છે”.
રાજીનામાં અંગે જણાવતા નાણા મંત્રીએ કહ્યું, “તેઓના રાજીનામાં આપવા માટેનું કારણ અંગત છે. તેઓએ મારી પાસે કોઈ વિકલ્પ છોડ્યો ન હતો અને અંતે તેઓનું રાજીનામું સ્વીકાર કરવું જ પડ્યું”.
તેઓએ પોતાના બ્લોગમાં લખ્યું, “તેઓએ ૧૬ ઓક્ટોબર, ૨૦૧૪માં આ પદ સંભાળ્યું હતું. તેઓનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ પણ હું ઈચ્છતો હતો કે તેઓ આગળ પણ આ પદ પર બની રહે”.
અરવિંદ સુબ્રમણ્યમની પ્રશંસા કરતા તેઓએ જણાવ્યું, “નાણા મંત્રાલય, PMO અને સરકારના અન્ય વિભાગો સાથે તેઓનો સંવાદ ખુબ અગત્યનો હતો”.
મહત્વનું છે કે, અરવિંદ સુબ્રમણ્યમે ૧૬ ઓક્ટોબર, ૨૦૧૪માં મોદી સરકારમાં મુખ્ય આર્થિક સલાહકારનું પદ સંભાળ્યું હતું. તેઓએ આ દરમિયાન રઘુરામ રાજનની જગ્યા લીધી હતી.