નવી દિલ્હી,
દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી પોતાને એક હિન્દુત્વનો ચહેરો તરીકે સાબિત કરવા માંગતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા મંદિરો, મઠ તેમજ ધાર્મિક સ્થળોની યાત્રા કરી રહ્યા છે, ત્યારે તેઓ શુક્રવારથી પવિત્ર કૈલાસ માનસરોવરની યાત્રા પર નીકળી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કૈલાસ માનસરોવરની આ યાત્રા ૧૨ દિવસની હશે અને તેઓ ૧૨ સપ્ટેમ્બરના રોજ યાત્રા પરથી પાછા ફરી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પોતાના વિમાનમાં આવેલી ટેકનિકલ ખરાબી બાદ કૈલાશ માનસરોવરની યાત્રા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધી હિંદુ છે, ત્યારે જ તેઓ યાત્રા પર જઈ શકે છે : સ્વામી
બીજી બાજુ કોંગ્રેસ અધ્યક્ષની આ યાત્રાને લઇ ભાજપ દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે. ભાજપના રાજ્યસભા સાસંદ અને નેતા સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, “રાહુલ ગાંધીને ઘોષણા કરવી પડશે કે તેઓ હિંદુ છે, ત્યારે જ તેઓ યાત્રા પર જઈ શકે છે”.
રાહુલ ગાંધી પર નિશાન સાધતા તેઓએ કહ્યું, “કોંગ્રેસ અધ્યક્ષ કોઈ મહાન કામ કરી રહ્યા નથી. દરેક વર્ષે ૭ થી ૮ હજાર હિંદુઓ આ યાત્રા પર જાય છે. મને આશા છે કે, ચીને એ નિયમ બનાવી રાખ્યો છે કે, આ યાત્રામાં માત્ર હિંદુ લોકો જ જઈ શકે છે. આ અરસામાં રાહુલ ગાંધીએ ઘોષણા કરવી પડશે કે તેઓ પોતે હિંદુ છે ત્યારે જ યાત્રા પર જઈ શકશે”.
મહત્વનું છે કે, હિંદુ ધર્મમાં કૈલાશ માનસરોવરની યાત્રાને ખુબ પવિત્ર માનવામાં આવે છે. જો કે આ યાત્રા પર પહોચવા પર ઘણી અડચણો પણ આવતી હોય છે.
રાહુલ ગાંધીની કૈલાશ માનસરોવરની યાત્રા માટે શું છે કારણ ?
આ પહેલા ૨૯ એપ્રિલના રોજ દિલ્હીના રામલીલા મેદાનમાં આયોજિત જનઆકોશ રેલીમાં રાહુલ ગાંધીએ આ ઘોષણા કરી હતી. પોતાને શિવભક્ત બતાવતા તેઓએ કહ્યું હતું કે, કર્ણાટક જવા દરમિયાન તેઓનું પ્લેન અચાનક જ ૮ હજાર ફૂટ નીચે ગયું હતું. હું અંદરથી હલી ગયો હતો અને લાગ્યું હતુ કે હવે ગાડી ગઈ, ત્યારે જ મને કૈલાશ માનસરોવર યાદ આવ્યું હતું.
હકીકતમાં રાહુલ ગાંધી દ્વારા જે ઘટના અંગે જણાવવામાં આવ્યું છે તે, કર્ણાટકની ચૂંટણી દરમિયાન તેઓ ૨૬ એપ્રિલે સુપર લક્ઝરી ૧૦ સિટર દસોલ્ટ ફાલ્કન 2000 વિમાનથી દિલ્હીથી હુબલી જઈ રહ્યા હતા. આ ઘટનાને યાદ કરતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, તેઓ અંદરથી હલી ગયા હતા.જો કે આ દરમિયાન તેઓનું ચાર્ટડ પ્લેન ક્રેશ થવાથી માત્ર ૨૦ સેકન્ડ જ દૂર રહ્યું હતું.